સત્ય. સાહસ. સંકલ્પ.

વોરેન બફેટ બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી નિવૃત્ત, પુત્ર હોવર્ડ બફેટ નવા ચેરમેન

વોરેન બફેટ બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી નિવૃત્ત, પુત્ર હોવર્ડ બફેટ નવા ચેરમેન

અમેરિકાના જાણીતા રોકાણકાર વોરેન બફેટે બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. કંપનીએ શુક્રવાર, 18 સપ્ટેમ્બરના રોજ આ જાહેરાત કરી. બફેટ હવે ચેરમેન એમેરિટસ તરીકે કંપની સાથે જોડાયેલા રહેશે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ તેમની ભૂમિકા યથાવત્ રહેશે.

કંપનીની લાંબા સમયથી ચાલી આવતી ઉત્તરાધિકારી યોજના હેઠળ બોર્ડે વોરેન બફેટના પુત્ર હોવર્ડ બફેટને નવા ચેરમેન તરીકે પસંદ કર્યા છે. જ્યારે ગ્રેગ એબેલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને સુઝેન ડેકર લીડ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે.

બર્કશાયરના સીઈઓ ગ્રેગ એબેલે જણાવ્યું કે અમેરિકન બિઝનેસના ઇતિહાસમાં બર્કશાયર અને તેના શેરહોલ્ડર્સ પર વોરેનના યોગદાનની તુલના કરી શકાય નહીં. તેમણે ઉમેર્યું કે વોરેને ઉભા કરેલા સંસ્કાર અને મૂલ્યો કંપનીના ધ્યાનમાં રહેશે અને હોવર્ડ બફેટ તેને આગળ વધારશે.

હોવર્ડ બફેટ 1993થી બર્કશાયરના બોર્ડમાં ડિરેક્ટર તરીકે જોડાયેલા છે. તેઓ 1999થી હોવર્ડ જી. બફેટ ફાઉન્ડેશનનું નેતૃત્વ કરી રહ્યા છે, જે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને સંઘર્ષ નિરાકરણ પર કામ કરે છે. તેઓ અનેક જાહેર અને ખાનગી કંપનીઓના બોર્ડમાં રહી ચૂક્યા છે અને લગભગ એક દાયકા સુધી યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ગુડવિલ એમ્બેસેડર પણ રહ્યા છે.

આ પહેલાં વોરેન બફેટે 31 ડિસેમ્બરે બર્કશાયર હેથવેના CEO પદેથી રાજીનામું આપ્યું હતું. બફેટ જે કંપનીના આધારે દુનિયાના 10મા સૌથી અમીર વ્યક્તિ બન્યા, તેને ખરીદવી તેમણે પોતાના જીવનની 'સૌથી મોટી ભૂલ' ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આ કંપની તેમણે કોઈ બિઝનેસ ડીલ માટે નહીં, પરંતુ ગુસ્સામાં આવીને ખરીદી હતી. એક વખત નિવૃત્તિ વિશે પૂછવામાં આવતાં બફેટે કહ્યું હતું કે તેના વિશે વિચારવું પણ અશક્ય છે, મારા માટે તે મૃત્યુ કરતાં પણ ખરાબ હશે.

1965માં જ્યારે વોરેન બફેટે બર્કશાયર હેથવેની કમાન સંભાળી હતી, ત્યારે તે એક સંઘર્ષ કરી રહેલી કાપડ કંપની હતી. બફેટે તેને વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક બનાવી. આજે બર્કશાયર હેથવે 1.09 ટ્રિલિયન ડોલર એટલે કે આશરે 98 લાખ કરોડ રૂપિયાની કિંમત ધરાવે છે. તેની પાસે કોકા-કોલા, ક્રાફ્ટ હેઇન્ઝ અને એપલ જેવી મોટી બ્રાન્ડ્સમાં હિસ્સેદારી છે. ઉપરાંત, જીકો અને નેટજેટ્સ જેવી કંપનીઓ પણ તેના પોર્ટફોલિયોમાં સામેલ છે.

બફેટ પોતાને એક મહાન શિક્ષક પણ માને છે. તેમણે પોતાના રોકાણ પત્રો, કલાકો સુધી ચાલતી મીટિંગ્સ અને પોતાના કામ તથા અંગત જીવનના નિર્ણયો દ્વારા દુનિયાભરના CEOઓને શીખવ્યું છે કે બિઝનેસ અને જીવન કેવી રીતે ચલાવવું. CEOઓ વચ્ચે બફેટના ધીરજના ગુણની સૌથી વધુ ચર્ચા થાય છે. બફેટ બર્કશાયરમાં મોટી રકમ રોકડ સ્વરૂપે એકત્ર કરીને બેસી રહેતા અને યોગ્ય રોકાણની તકની રાહ જોતા. તેમણે 1989માં શેરધારકોને લખ્યું હતું, 'પસંદગીનો હોલ્ડિંગ પિરિયડ હંમેશા માટેનો હોય છે.'