સત્ય. સાહસ. સંકલ્પ.

નિઠારી કેસના આરોપી સુરેન્દ્ર કોલીનો હરિદ્વારમાં મૃતદેહ મળ્યો, નિર્દોષ છૂટ્યાના 10 મહિના બાદ આત્મહત્યા

નિઠારી કેસના આરોપી સુરેન્દ્ર કોલીનો હરિદ્વારમાં મૃતદેહ મળ્યો, નિર્દોષ છૂટ્યાના 10 મહિના બાદ આત્મહત્યા

નિઠારી કાંડમાં 19 બાળકોના બળાત્કાર અને હત્યાના આરોપમાં 18 વર્ષ જેલમાં રહ્યા બાદ ગયા વર્ષે નવેમ્બરમાં નિર્દોષ છૂટેલા સુરેન્દ્ર કોલીનો મૃતદેહ શુક્રવારે હરિદ્વારમાં મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, હરિદ્વારના ભુપતવાલા વિસ્તારમાં તેમણે ભાડે લીધેલી ચાની દુકાનમાં તેમનો મૃતદેહ ફાંસીએ લટકતો મળ્યો હતો. ગળામાં ફાંસીનો ફંદો હતો અને આશંકા છે કે વજનના કારણે પાતળી દોરી તૂટી ગઈ હતી.

12 નવેમ્બર 2025ની સાંજે કોલી ગ્રેટર નોઇડાની લુકસર જેલમાંથી બહાર આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા બાદ તે ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના મંગરુખાલ ગામે પોતાના વતન ગયા હતા. જૂનમાં ભાઈઓએ ગામમાં પૂજાનો કાર્યક્રમ રાખ્યો ત્યારે સુરેન્દ્ર પણ તેમાં જોડાયા હતા. ગામલોકોના જણાવ્યા મુજબ તેમનું વર્તન સામાન્ય હતું અને તેમણે ખંડેર બનેલા પૈતૃક મકાનને ફરી બનાવડાવવાની વાત કરી હતી.

લગભગ બે મહિનાથી કોલી પોતાની ઓળખ છુપાવીને હરિદ્વારમાં રહેતા હતા. અહીં તેમનો સંપર્ક ઠેકેદાર વિશાલ જય કશ્યપ સાથે થયો. વિશાલના જણાવ્યા મુજબ, વૈષ્ણવી નામની એક વકીલે તેમને એક પરેશાન વ્યક્તિને રૂમ અપાવવાનું કહ્યું હતું. કોલીએ પોતાનું નામ સદારામ અને ઘર અલ્મોડા હોવાનું જણાવ્યું. વિશાલે પહેલા રોશનાબાદમાં એક રૂમ અપાવ્યો, જ્યાં કોલી લગભગ 4 દિવસ રહ્યા. મકાનમાલિકે આધાર કાર્ડ માંગતાં તેમણે ગામમાંથી મંગાવીને આપવાની વાત કરી, પણ આધાર કાર્ડ ન આપતાં રૂમ છોડવો પડ્યો.

ત્યાર બાદ તેમને એક સિક્યોરિટી કંપનીમાં નાઇટ વોચમેનની નોકરી મળી. લગભગ 15 દિવસ સુધી તે રોશનાબાદની દીપગંગા સોસાયટીમાં વોચમેન રહ્યા. અહીં પણ તેમણે પોતાનું નામ સદારામ જણાવ્યું અને સાથે કામ કરતા લોકોને તેમના ભૂતકાળની જાણકારી નહોતી.

પડોશીઓના જણાવ્યા મુજબ, 4 દિવસ પહેલાં કોલી સપ્તસરોવર વિસ્તારમાં પહોંચ્યા હતા અને ભુપતવાલામાં રસ્તા કિનારે એક દુકાન ભાડે લઈને ચા વેચવા લાગ્યા હતા. દુકાન અપાવવામાં દિલ્હીના ધર્મેન્દ્ર કૌશિકે મદદ કરી હતી. દુકાનનું ભાડું 7 હજાર રૂપિયા હતું અને તેમણે 14 હજાર રૂપિયા સિક્યોરિટી આપી હતી. વિસ્તારમાં કુંભની તૈયારીઓને કારણે અતિક્રમણ હટાવવામાં આવી રહ્યું હતું. શુક્રવારે આ જ દુકાનમાં તેમનો મૃતદેહ મળી આવ્યો.

કોલીએ આત્મહત્યા કેમ કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મનોવિજ્ઞાનીઓના મતે લાંબા સમય સુધી જેલમાં રહ્યા બાદ મુક્ત થયેલા લોકોને બહારની દુનિયામાં નવેસરથી જીવન જીવવામાં મુશ્કેલી પડે છે. આ સ્થિતિને પોસ્ટ-ઇન્કાર્સરેશન સિન્ડ્રોમ કહેવાય છે. મેડિકલ જર્નલ લાન્સેટના એક અભ્યાસ મુજબ મુક્ત થયેલા પુરુષ કેદીઓમાં આત્મહત્યાની વૃત્તિ સામાન્ય લોકો કરતાં 8 ગણી વધુ હોય છે.

2014માં ડેથ વૉરન્ટ જારી થયા બાદ ફાંસીથી માત્ર 4 કલાક પહેલાં તેમની ફાંસી અટકી ગઈ હતી. ત્યાર પછી પણ 11 વર્ષ સુધી ફાંસીની સજાનો ભય મંડરાતો રહ્યો. મોતને નજીકથી જોવાની અને સતત તેનો ખતરો અનુભવવાની આ સ્થિતિને 'ડેથ રો ફિનોમેનન' કહેવાય છે, જેમાં વ્યક્તિ લાંબા ટ્રોમા અને ઊંડા ડિપ્રેશનમાં જતો રહે છે. વધુમાં, ટ્રાયલ દરમિયાન મીડિયાએ કોલીને નરભક્ષી સુધી કહી દીધા હતા અને ગયા વર્ષે નિર્દોષ ઠેરવવાના કોર્ટના નિર્ણયનો ભારે વિરોધ થયો હતો, જેની માનસિક અસર પણ તેમના પર પડી હોઈ શકે છે.