વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉજવણી વચ્ચે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા રેતી-શિલ્પકાર સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી બીચ પર એક વિશાળ રેતી-શિલ્પ બનાવ્યું છે.
આ શિલ્પ 'રાષ્ટ્રની સેવામાં 25 વર્ષ' (25 Years of Service to the Nation) થીમ પર આધારિત છે. શિલ્પમાં 2500 માટીના દીવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પ્રકાશ, આશીર્વાદ અને શુભેચ્છાઓનું પ્રતીક છે. શિલ્પનું શીર્ષક 'આશીર્વાદનો દીવો – સેવામાં 25 વર્ષ – જન્મદિવસની શુભેચ્છા મોદીજી' છે.
પટનાયકે જણાવ્યું કે આ શિલ્પમાં 25 વર્ષની જનસેવાની થીમ અને 2500 દીવાઓ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓનું પ્રતીક છે. શિલ્પમાં ભારતીય ત્રિરંગાની પૃષ્ઠભૂમિમાં પીએમ મોદીનું પોર્ટ્રેટ પણ કંડારવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓએ આ કલાકૃતિ નિહાળી હતી. સુદર્શન સેન્ડ આર્ટ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ પણ તેના નિર્માણમાં સહયોગ આપ્યો હતો.
વૈશ્વિક મંચ પર ભારતની બદલાતી છબી અંગે પૂછવામાં આવતા પટનાયકે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે. વિશ્વના નેતાઓથી લઈને સામાન્ય નાગરિક સુધી, દરેક ભારતને નજરે જોઈ રહ્યા છે કારણ કે દેશ વિકાસ અને પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. તેમણે કહ્યું કે 'મેક ઇન ઇન્ડિયા' હોય કે અન્ય પહેલો, આ તમામે ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
પટનાયકે વડાપ્રધાન દ્વારા કલા અને કલાકારોને પ્રોત્સાહન આપવાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે પણ વડાપ્રધાન વિદેશ મુલાકાતે જાય છે, ત્યારે તેઓ ભારતની સંસ્કૃતિ અને કળાનું પ્રદર્શન કરે છે. તેવી જ રીતે, જ્યારે વિદેશી મહાનુભાવો ભારત આવે છે ત્યારે તેમને આપણી સમૃદ્ધ કળા અને સંસ્કૃતિથી પરિચિત કરાવવામાં આવે છે. સુદર્શને ઉમેર્યું, "હું તેમના કાર્યને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જોઈ રહ્યો છું અને અનુસરી રહ્યો છું."