સત્ય. સાહસ. સંકલ્પ.

સુદાનમાં સોનાની ખાણ ધસી પડી: 60 લોકોના મોત, ઘણા લાપતા

સુદાનમાં સોનાની ખાણ ધસી પડી: 60 લોકોના મોત, ઘણા લાપતા

સુદાનના પશ્ચિમ કોર્ડોફાન પ્રાંતમાં એક દુખદ ઘટના સામે આવી છે. અલ-નુહુદ શહેરથી દૂર આવેલી એક સોનાની ખાણ રવિવારે ધસી પડતાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. ઘણા લોકો હજુ પણ લાપતા છે. આ માહિતી ત્રણ સ્થાનિક સ્રોતોના હવાલે 'રોયટર્સ' દ્વારા બુધવારે (16 સપ્ટેમ્બર) આપવામાં આવી છે.

સુદાન આફ્રિકામાં સોનું ઉત્પાદન કરતા દેશોમાં અગ્રણી છે. અહીં મોટા ભાગનું સોનું પરંપરાગત અને જોખમી ખનન પદ્ધતિઓ દ્વારા કાઢવામાં આવે છે. આ પદ્ધતિઓમાં સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવતાં નથી, જેના કારણે આવા અકસ્માતો વારંવાર બનતા રહે છે.

સુદાનની મોટા ભાગની સોનાની ખાણોમાં સુરક્ષા નિયમોની અવગણના થાય છે અને સુરક્ષા સાધનો પણ ઉપલબ્ધ નથી. પશ્ચિમ કોર્ડોફાનની ઘણી ખાણો અર્ધલશ્કરી દળ 'રેપિડ સપોર્ટ ફોર્સીસ'ના નિયંત્રણમાં છે. આ ખાણો તેમના માટે આવકનો મુખ્ય સ્રોત છે, પરંતુ ત્યાં કામ કરતા કામદારોની સુરક્ષા માટે કોઈ ખાસ પગલાં લેવામાં આવતાં નથી.

સુદાનના સોનાના વેપાર પર મોટા પાયે થતી તસ્કરીની પણ અસર છે. થિંક ટેન્ક 'ચેથમ હાઉસ'ના અહેવાલ મુજબ, સુદાનનું 50% થી 70% સોનું સરકારી માર્ગને બદલે તસ્કરી દ્વારા વિદેશોમાં મોકલવામાં આવે છે. આ સોનાનો મોટો હિસ્સો દુબઈ પહોંચે છે, જ્યાંથી તે આંતરરાષ્ટ્રીય વેપાર નેટવર્કમાં સામેલ થાય છે. આ નેટવર્ક સાથે લશ્કરી સાધનો અને લોજિસ્ટિકલ સપોર્ટ માટે ભંડોળ જોડાયેલું હોવાના આરોપો પણ છે.

સુદાનમાં સોનાના ખાણકામની લગભગ 80% પ્રવૃત્તિ લઘુ-સ્તરીય ખાણકામ કરનારાઓ દ્વારા કરવામાં આવે છે. આ કામદારો ઘણીવાર અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરે છે, જ્યાં નિયમન, સુરક્ષા ધોરણો કે સરકારી દેખરેખનો અભાવ હોય છે. ઔપચારિક ખાણકામ ક્ષેત્રની નબળાઈઓનો લાભ ઉઠાવીને શક્તિશાળી કમાન્ડરો, વેપારીઓ અને ગુનાહિત ગ્રુપો આ ખાણકામ કરનારાઓ પર પ્રભાવ જમાવે છે. કેટલાક વિસ્તારોમાં ગરીબ કામદારોને ધમકીઓનો સામનો કરવો પડે છે અથવા તેમને કાઢેલા સોનાના બદલામાં ખૂબ ઓછું મહેનતાણું મળે છે.