સત્ય. સાહસ. સંકલ્પ.

શિવસેના પ્રતીક વિવાદ: સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ, 22 સપ્ટેમ્બરે આગામી સુનાવણી

શિવસેના પ્રતીક વિવાદ: સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ, 22 સપ્ટેમ્બરે આગામી સુનાવણી

શિવસેનાના 'ધનુષ-બાણ' ચિહ્નને લઈને ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે પૂછ્યું કે, શું ચૂંટણી પંચે બંને જૂથોને અલગ-અલગ ચિહ્ન આપવાના વિકલ્પ પર વિચાર કર્યો હતો?

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેંચ સમક્ષ શિંદે જૂથને અસલી શિવસેના માનવાના ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ ઉદ્ધવ જૂથની અરજી પર સુનાવણી થઈ. જસ્ટિસ બાગચીએ સવાલ કર્યો કે જ્યારે આ નિર્ણય લેવાયો ત્યારે શિંદે જૂથના ધારાસભ્યો સામે ગેરલાયકાતની કાર્યવાહી પેન્ડિંગ હતી. શું માત્ર ચૂંટાયેલા ધારાસભ્યોની બહુમતીને પક્ષ પરના અધિકારનો આધાર ગણી શકાય? તેમણે કહ્યું કે સમય વીતી ગયો હોવા છતાં, અદાલત તપાસી શકે છે કે ચૂંટણી પંચનો નિર્ણય બંધારણીય અને કાનૂની રીતે સાચો હતો કે નહીં.

શિંદે જૂથ તરફથી વરિષ્ઠ વકીલ નીરજ કિશન કૌલે ચૂંટણી પંચના નિર્ણયનો બચાવ કરતા આંકડા રજૂ કર્યા. તેમણે દલીલ કરી કે 2019ની વિધાનસભા ચૂંટણીમાં જીતેલા શિવસેનાના 55 ધારાસભ્યોમાંથી શિંદે જૂથના 40 ધારાસભ્યોને 76 ટકા વોટ મળ્યા હતા, જ્યારે ઉદ્ધવ જૂથના 15 ધારાસભ્યો પાસે માત્ર 23.5 ટકા વોટ હતા. લોકસભાના 18 સાંસદોમાંથી 13 શિંદે જૂથ સાથે હતા, જેમને 73 ટકા વોટ મળ્યા હતા. તેથી વિધાયી બહુમતીના આધારે લેવાયેલો નિર્ણય કાયદેસર અને વ્યાજબી હતો.

વકીલ કૌલે વધુમાં જણાવ્યું કે માત્ર અયોગ્યતાની અરજી પેન્ડિંગ હોવાથી ચૂંટણી પંચને વિવાદનો ઉકેલ લાવવાથી રોકી શકાય નહીં. મહારાષ્ટ્રની 2019ની વિધાનસભા ભંગ થઈ ચૂકી છે અને 2024ની ચૂંટણી પછી નવી વિધાનસભા અસ્તિત્વમાં આવી છે, તેથી જૂની અયોગ્યતાની બાબતો હવે પ્રાસંગિક નથી. ચૂંટણી પંચ અને વિધાનસભા અધ્યક્ષ અલગ-અલગ સત્તા મંડળો છે અને તે પોતાના નિયમો મુજબ કામ કરે છે.

ઉદ્ધવ ઠાકરે જૂથનો આક્ષેપ છે કે શિંદે જૂથ દ્વારા શિવસેના પક્ષના નામ અને ધનુષ-બાણ ચિહ્નનો ઉપયોગ ગેરકાયદેસર છે. તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ માગણી કરી છે કે મૂળ ચિહ્ન તેમને પાછું સોંપવામાં આવે અથવા શિંદે જૂથને તેનો ઉપયોગ કરતા રોકવામાં આવે. સુપ્રીમ કોર્ટ આ તમામ કાનૂની પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને હવે આ મામલે આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે.