સત્ય. સાહસ. સંકલ્પ.

પાન મસાલા એડ વિવાદ: શાહરૂખ ખાનનો જવાબ નહીં, FDA કાર્યવાહીની તૈયારીમાં

પાન મસાલા એડ વિવાદ: શાહરૂખ ખાનનો જવાબ નહીં, FDA કાર્યવાહીની તૈયારીમાં

મુંબઈના મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા પાન મસાલાની સરોગેટ જાહેરાતના આરોપમાં અભિનેતા શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઈગર શ્રોફને ૧૪ ઓગસ્ટે નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસમાં ૧૫ દિવસમાં જવાબ આપવાનો આદેશ હતો. FDAના જણાવ્યા મુજબ, અજય દેવગણ અને ટાઈગર શ્રોફે સમયસર જવાબ આપી દીધો છે, પરંતુ શાહરૂખ ખાન તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. આ સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવાથી FDA તેમની સામે કાર્યવાહી કરી શકે છે.

આ નોટિસ 'વિમલ ઈલાયચી' નામના ઉત્પાદનની જાહેરાતને લઈને આપવામાં આવી હતી. FDAનો આરોપ છે કે આ જાહેરાત વિમલ પાન મસાલાનું પરોક્ષ પ્રમોશન છે, જે મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત છે. FDAએ ત્રણેય કલાકારોને પુરાવા માંગ્યા છે કે આ જાહેરાત પાન મસાલા સાથે સંબંધિત નથી, અને તે સરોગેટ જાહેરાત નથી.

અજય દેવગણ અને ટાઈગર શ્રોફે પોતાના જવાબમાં દલીલ કરી છે કે તેઓ માત્ર ઈલાયચી ઉત્પાદનની જાહેરાત કરી રહ્યા છે, અને પાન મસાલા સાથે તેનો કોઈ સંબંધ નથી. પરંતુ શાહરૂખ ખાનનો જવાબ ન આવતા, FDA હવે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જવાબ ન આપવા પર લાખો રૂપિયાનો દંડ થઈ શકે છે.

આ મામલે શાહરૂખ ખાને ભૂતકાળમાં પણ પોતાનો પક્ષ રાખ્યો હતો. એક જૂના ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે જો કોઈ ઉત્પાદન હાનિકારક હોય, તો સરકારે તેના ઉત્પાદન અને વેચાણ પર જ પ્રતિબંધ મૂકવો જોઈએ, પરંતુ સરકાર તેમ કરતી નથી કારણ કે તેને તેનાથી આવક થાય છે. અજય દેવગણે પણ આવી જ દલીલ કરી હતી.

આ ઉપરાંત, ભૂતકાળમાં કૃતિ સેનનની જ્વેલરીની જાહેરાત અને આમિર ખાનની બેંકની જાહેરાત પર પણ વિવાદ થયો હતો. પરંતુ આ મામલો અલગ છે કારણ કે તેમાં આરોગ્યને લગતા ઉત્પાદનો સામેલ છે, જેના પર કડક નિયમો છે.