વાવ-થરાદ સરહદી પંથકની સરકારી માધ્યમિક શાળાના આચાર્ય મનિષ પરમાર સામે 15 વર્ષીય વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના શિક્ષક દિને બની હોવાનું કહેવાય છે, જેના કારણે ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોને લજવતી આ ઘટના ચકચારનું કારણ બની છે.
પોલીસ ફરિયાદ મુજબ, આરોપી આચાર્યએ શાળાના એક રૂમમાં સગીરાને બોલાવીને દરવાજો બંધ કરી દીધો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ તેણે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ મામલે માવસરી પોલીસે સગીરાની ફરિયાદના આધારે આરોપી મનિષ પરમાર વિરુદ્ધ POCSO એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વાલીવર્ગ અને સ્થાનિક સામાજિક આગેવાનોએ આ ઘટનાની નિંદા કરીને કડક કાર્યવાહીની માગ કરી છે.