સત્ય. સાહસ. સંકલ્પ.

કૂતરું કરડે તો કેટલા કલાકમાં રેબીઝની રસી લેવી જરૂરી? જાણો સાચો સમય અને સારવાર

કૂતરું કરડે તો કેટલા કલાકમાં રેબીઝની રસી લેવી જરૂરી? જાણો સાચો સમય અને સારવાર

રખડતા કે પાલતુ શ્વાન કરડવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ઘણી વખત લોકો કૂતરાના કરડવા, ખંજવાળ કે ચાટવાને નજીવું માનીને અવગણી દે છે, પરંતુ આ ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે. કૂતરાની લાળમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસથી રેબીઝ, સેપ્સિસ, મેનિન્જાઇટિસ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. તેથી સમયસર સારવાર લેવી અત્યંત જરૂરી છે.

રેબીઝ એક જીવલેણ વાયરલ ઇન્ફેક્શન છે, જે ચેતાતંત્ર દ્વારા મગજ સુધી પહોંચે છે. શરૂઆતમાં તાવ, માથાનો દુખાવો અને બેચેની જેવા લક્ષણો દેખાય છે. એક વખત લક્ષણો દેખાય પછી આ રોગ સો ટકા જીવલેણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) પણ કહે છે કે રેબીઝથી બચવા માટે સમયસર રસી લેવી જ જોઈએ.

કૂતરું કરડે કે નખ મારે તો શક્ય તેટલી વહેલી તકે, પ્રાધાન્ય 24 કલાકની અંદર, રેબીઝની રસીનો પ્રથમ ડોઝ લેવો જોઈએ. રસી 5 ડોઝમાં આપવામાં આવે છે: દિવસ 0, 3, 7, 14 અને 28. જો ઘા ઊંડો હોય તો ડૉક્ટર રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન (RIG) પણ આપે છે. ધનુરનું ઇન્જેક્શન અને એન્ટિબાયોટિક્સ પણ આપી શકાય છે.

કરડ્યા પછી તરત જ ઘાને વહેતા પાણી અને સાબુથી 10-15 મિનિટ ધોવો. પછી એન્ટિસેપ્ટિક લગાવો. લોહી વહેતું હોય તો સ્વચ્છ કપડાથી દબાવો. કોઈ દેશી ઉપચાર ન કરતાં સીધા હૉસ્પિટલમાં જઈને રસી મુકાવો.

રસીનો કોર્સ અધવચ્ચે ન છોડો, બધા ડોઝ સમયસર પૂરા કરો. ઘામાં લાલાશ, સોજો કે પરુ દેખાય તો તાત્કાલિક ડૉક્ટરને મળો. આ માહિતી સામાન્ય સમજ માટે છે, વધુ વિગત માટે તમારા ડૉક્ટરની સલાહ લો.