સત્ય. સાહસ. સંકલ્પ.

ભારત આવેલા પ્રિન્સ રહીમ આગા ખાન કોણ છે? જાણો તેમની 6 દિવસની મુલાકાતનું કારણ

ભારત આવેલા પ્રિન્સ રહીમ આગા ખાન કોણ છે? જાણો તેમની 6 દિવસની મુલાકાતનું કારણ

નવી દિલ્હીમાં બ્રિક્સ સંમેલનને કારણે વિશ્વના ઘણા દેશોના નેતાઓની આવ-જા ચાલી રહી છે. આ દરમિયાન પ્રિન્સ રહીમ આગા ખાન છ દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. તેઓ કોઈ દેશના રાજા નથી, પણ શિયા મુસ્લિમોના ઇસ્માઇલી સમુદાયના 50મા ઇમામ છે. આ મુલાકાતમાં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અને વિદેશ મંત્રી સહિતના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી છે.

પ્રિન્સ રહીમ આગા ખાનનો જન્મ 12 ઓક્ટોબર 1971ના રોજ સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા શહેરમાં થયો હતો. તેમનું ઉચ્ચ શિક્ષણ અમેરિકામાં પૂરું થયું છે. પેઢીઓથી ચાલ્યા આવતા શાહી વારસાને કારણે તેમને ‘પ્રિન્સ’ કહેવામાં આવે છે. તેમનું મૂળ નામ શાહ રહીમ અલ-હુસેની છે. શિયા મુસ્લિમોમાં ઇસ્માઇલી સમુદાય બીજા ક્રમનો સૌથી મોટો સંપ્રદાય છે. આ સંપ્રદાય પયગંબર મુહમ્મદ સાહેબના જમાઈ હઝરત અલીને પ્રથમ ઇમામ માને છે. પયગંબર મુહમ્મદ સાહેબના પુત્રી ફાતિમા અને હઝરત અલીના વંશજો પરંપરાગત રીતે ઇમામ ગણાતા આવ્યા છે. એ રીતે પ્રિન્સ રહીમ આગા ખાન ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયના 50મા ઇમામ છે. પિતા ‘આગા ખાન ચોથા’નું વર્ષ 2025માં અવસાન થયા પછી તેમને ‘પ્રિન્સ આગા ખાન પંચમ’નું બિરુદ વારસામાં મળ્યું હતું. વિશ્વભરમાં વસતા આશરે 1.5 કરોડ ઇસ્માઇલી મુસ્લિમો તેમને પોતાના માર્ગદર્શક માને છે.

પ્રિન્સ આગા ખાનની ભારત મુલાકાતનો મુખ્ય હેતુ તેમની સંસ્થા ‘આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક’ (AKDN) દ્વારા ચાલી રહેલા સામાજિક પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવાનો અને દેશના સાંસ્કૃતિક વારસાના સંરક્ષણના કામનું મૂલ્યાંકન કરવાનો છે. તેમના પરિવારનો ભારત સાથેનો સંબંધ તેમના દાદા સુલતાન મુહમ્મદ શાહ આગા ખાનના સમયથી ચાલ્યો આવે છે. AKDN દ્વારા દિલ્હીનો હુમાયુનો મકબરો, સુંદર નર્સરી અને નાગૌરના અહિચ્છત્રગઢ કિલ્લા જેવા ઐતિહાસિક સ્થળોના નવીનીકરણનું કામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમાજસેવાના પ્રોજેક્ટ્સ પણ ચલાવવામાં આવે છે. ભારત સરકાર અને ઉદ્યોગ જગતના નેતાઓ સાથે તેઓ સામાજિક-આર્થિક વિકાસના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી રહ્યા છે.

પ્રિન્સ આગા ખાનનું અંગત જીવન પણ ચર્ચામાં રહ્યું છે. વર્ષ 2013માં તેમણે અમેરિકન મોડલ કેન્દ્રા સ્પીયર્સ સાથે લગ્ન કર્યા હતા. કેન્દ્રા સ્પીયર્સે પ્રાદા, ચેનલ, લુઇસ વિટન અને વર્સાચે જેવી મોટી ફેશન બ્રાન્ડ્સ માટે રેમ્પ વોક કર્યું હતું. લગ્ન પછી તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને તેમને ‘પ્રિન્સેસ સલવા આગા ખાન’ નામ આપવામાં આવ્યું. આ દંપતીને પ્રિન્સ ઇરફાન અને પ્રિન્સ સિનાન નામના બે બાળકો છે. જોકે, ફેબ્રુઆરી 2022માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

ઇસ્માઇલી સમુદાયના લોકો પ્રિન્સ આગા ખાનને આધ્યાત્મિક અને વ્યાવહારિક બંને રીતે ‘હીલર’ (ઉપચારક) માને છે. સમુદાયના લોકો માને છે કે તેમના ઇમામ પાસે દૈવી આશીર્વાદ છે, જે તેમના જીવનના દુઃખોને દૂર કરે છે. આથી લાખો લોકો તેમને મસીહા તરીકે પૂજે છે.