સત્ય. સાહસ. સંકલ્પ.

પનીર દો પ્યાઝા: ઘરે જ બનાવો ઢાબા જેવું સ્વાદિષ્ટ શાક, સરળ રેસિપી અહીં

પનીર દો પ્યાઝા: ઘરે જ બનાવો ઢાબા જેવું સ્વાદિષ્ટ શાક, સરળ રેસિપી અહીં

પનીરનું શાક ઘણા લોકોને ભાવે છે, પણ વારંવાર મટર પનીર કે પાલક પનીર ખાઈને કંટાળો આવી જાય છે. આવા સમયે તમે ઘરે જ ઢાબા સ્ટાઈલ ‘પનીર દો પ્યાઝા’ બનાવી શકો છો. આ વાનગીમાં પનીરની સાથે ડુંગળીનો ભરપૂર ઉપયોગ થાય છે, જે તેના સ્વાદને અલગ બનાવે છે. ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે કોઈ લાંબી તૈયારી કે મુશ્કેલ સામગ્રીની જરૂર પડતી નથી.

જરૂરી સામગ્રી:

લગભગ 250 ગ્રામ પનીર, બે થી ત્રણ ડુંગળી, બે ટામેટાં, એક લીલું મરચું, થોડું આદુ અને લસણ. મસાલામાં હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું. સ્વાદ વધારવા માટે કસૂરી મેથી અને લીલા ધાણા. ગ્રેવીને ઘાટી બનાવવા માટે થોડું દહીં અથવા ક્રીમ વાપરી શકાય. જો તમને વધુ મસાલેદાર ન ગમે તો લાલ મરચું ઓછું રાખો.

બનાવવાની રીત:

સૌથી પહેલા પનીરને નાના ટુકડામાં કાપી લો. એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરીને પનીરને આછું સોનેરી થાય ત્યાં સુધી સાંતળી લો અને અલગ રાખી દો. હવે એ જ કઢાઈમાં થોડું વધુ તેલ નાખો. તેમાં સમારેલી ડુંગળી નાખીને હળવી રીતે શેકો.

ત્યારબાદ આદુ, લસણ અને લીલું મરચું નાખો. થોડી વાર પછી સમારેલા ટામેટાં નાખીને ચડવા દો. ટામેટાં નરમ થાય એટલે હળદર, લાલ મરચું, ધાણાજીરું અને મીઠું નાખો. મિશ્રણ ઠંડું થાય એટલે તેની ગ્રેવી બનાવી લો.

હવે કઢાઈમાં થોડું તેલ ગરમ થવા દો અને તૈયાર કરેલી ગ્રેવીને લગભગ 5 થી 10 મિનિટ પકાવો. ગ્રેવી સારી રીતે સંતળાઈ જાય પછી દહીં અથવા ક્રીમ ઉમેરીને હલાવો. હવે તેમાં સાંતળેલું પનીર નાખો અને થોડી વાર ચડવા દો.

છેલ્લે ઉમેરો ડુંગળી અને કસૂરી મેથી:

પનીર દો પ્યાઝાનો ખાસ સ્વાદ તેમાં ઉમેરવામાં આવતી ડુંગળીથી આવે છે. આ માટે એક ડુંગળીને મોટા ટુકડામાં કાપીને અલગથી હળવી સાંતળી લો. પનીર જ્યારે મસાલામાં સારી રીતે ચડી જાય, ત્યારે ડુંગળીના આ ટુકડાઓને કઢાઈમાં નાખો.

ઉપરથી કસૂરી મેથી અને થોડો ગરમ મસાલો નાખીને શાકને બે મિનિટ વધુ પકાવો. છેલ્લે લીલા ધાણા નાખીને ગેસ બંધ કરી દો. હવે તમારું ગરમાગરમ ‘પનીર દો પ્યાઝા’ તૈયાર છે. તેને રોટલી, નાન કે પરાઠા સાથે સર્વ કરો.