સત્ય. સાહસ. સંકલ્પ.

નેપાળ પૂરમાં મૃત્યુઆંક 1,290 થયો, 4,798 લોકો હજુ ગુમ

નેપાળ પૂરમાં મૃત્યુઆંક 1,290 થયો, 4,798 લોકો હજુ ગુમ

નેપાળમાં 26 ઓગસ્ટે આવેલી વિનાશક પૂર બાદ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. નેપાળ પોલીસના તાજેતરના આંકડા મુજબ, મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 1,290 થઈ છે. હજુ પણ 4,798 લોકો ગુમ છે, જેમાં 2,847 નેપાળી અને 601 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.

પૂર બાદ રાહત અને બચાવ માટે 65 અસરગ્રસ્ત વિસ્તારોમાં 7,932 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 8,127 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે 3,631 લોકો અસ્થાયી આશ્રય કેન્દ્રોમાં રહે છે.

મૃતકોની ઓળખ માટે મેડિકલ ટીમોએ 1,862 DNA સેમ્પલ લીધા છે, જેમાં 1,143 મૃતકોના અને 719 તેમના પરિવારજનોના છે. અત્યાર સુધીમાં 916 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, જ્યારે 1,141 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.

નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવે જણાવ્યું કે, પૂરની માહિતી મળતાં જ ભારતે નેપાળ સરકાર સાથે સંકલન શરૂ કર્યું હતું. ભારતે તેના નાગરિકોની શોધખોળ માટે નેપાળની સેના અને સુરક્ષા દળો સાથે માહિતી શેર કરી હતી. તેમના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં નેપાળની સેનાની મદદથી 166 ભારતીયોને સુરક્ષિત બચાવી લેવાયા છે.

નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે સ્પષ્ટતા કરી છે કે, નેપાળે ભારત, ચીન કે અમેરિકા પાસેથી કોઈ વળતરની માંગ કરી નથી. તેમણે વિશ્વ સમુદાયને આ આપત્તિને આબોહવા પરિવર્તનના દૃષ્ટિકોણથી જોવા અપીલ કરી છે, કારણ કે હિમાલયમાં વધી રહેલા તાપમાનની અસર ભારત, ચીન અને નેપાળ ત્રણેય પર પડી રહી છે. તેમણે સહયોગ અને તૈયારી માટે ત્રણેય દેશોએ સાથે આવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.