સત્ય. સાહસ. સંકલ્પ.

નેપાળના પૂર વળતર મુદ્દે ભારતનો જવાબ: 'ક્લાઈમેટ ચેન્જ સહિયારો પડકાર છે'

નેપાળના પૂર વળતર મુદ્દે ભારતનો જવાબ: 'ક્લાઈમેટ ચેન્જ સહિયારો પડકાર છે'

નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ કુદરતી આપદામાં અત્યાર સુધીમાં 1,200થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો હજુ પણ ગુમ છે.

આ ગંભીર હોનારત બાદ નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે નેપાળનું ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન લગભગ શૂન્ય સમાન છે, તેમ છતાં દેશ વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જની ભારે કિંમત ચૂકવી રહ્યો છે.

શરૂઆતમાં નેપાળના વિદેશ મંત્રીએ વિશ્વમાં સૌથી વધુ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરતા ત્રણ દેશો—ચીન, અમેરિકા અને ભારત—પાસેથી આ નુકસાનની ઐતિહાસિક જવાબદારી લેવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ દેશોએ નેપાળ જેવા નબળા દેશોને વળતર આપવું જોઈએ. તેમના મતે આ કોઈ 'દાન' નથી પરંતુ તે દેશોની 'કાનૂની અને નૈતિક ફરજ' છે.

જોકે, બાદમાં તેમણે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે નેપાળ સરકાર કે તેમણે ખાસ કરીને ભારત, ચીન કે અમેરિકા પાસે વળતર નથી માંગ્યું, પરંતુ તેમની આ અપીલ સમગ્ર વૈશ્વિક સમુદાયને ક્લાઈમેટ ચેન્જની અસર સમજીને લાંબા ગાળાના સહયોગ માટે હતી.

નેપાળના આ નિવેદન પર ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે, 'ક્લાઈમેટ ચેન્જ એ એક સહિયારો અને વૈશ્વિક પડકાર છે. આ દિશામાં કોઈપણ કદમ 'સહિયારી પરંતુ અલગ-અલગ જવાબદારીઓ અને સંબંધિત ક્ષમતાઓ' (CBDR)ના સિદ્ધાંત પર આધારિત હોવું જોઈએ.'

ભારતે સ્પષ્ટ કર્યું કે જે વિકસિત દેશો ઐતિહાસિક રીતે ઉત્સર્જન માટે જવાબદાર રહ્યા છે અને જેમણે આ સંકટ વધારવામાં સૌથી મોટો ફાળો આપ્યો છે, તેમણે જ ઉત્સર્જન ઘટાડવા તેમજ વિકાસશીલ દેશોને ફાઇનાન્સ અને ટેક્નોલોજી ટ્રાન્સફર દ્વારા મદદ કરવા આગળ આવવું જોઈએ.

આ કપરા સમયમાં ભારતે નેપાળ પ્રત્યે પૂર્ણ સહાનુભૂતિ અને એકજૂથતા દર્શાવી છે. વિદેશ મંત્રાલયે ભારપૂર્વક કહ્યું કે એક નજીકના મિત્ર અને ભાગીદાર તરીકે ભારતે આ હોનારત બાદ તુરંત રાહત સામગ્રી અને મદદ પહોંચાડી છે. આ સાથે જ ભારતે ખાતરી આપી છે કે નેપાળમાં પુનઃનિર્માણ અને રિકવરીના તમામ પ્રયાસોમાં ભારત સતત પોતાનો ટેકો અને સહયોગ આપતું રહેશે.