સત્ય. સાહસ. સંકલ્પ.

નંદીગ્રામ પેટાચૂંટણીમાં મમતાનો મોટો દાવ: ટીએમસી ઉમેદવારે નામ પાછું ખેંચ્યું, કોંગ્રેસને સમર્થન

નંદીગ્રામ પેટાચૂંટણીમાં મમતાનો મોટો દાવ: ટીએમસી ઉમેદવારે નામ પાછું ખેંચ્યું, કોંગ્રેસને સમર્થન

પશ્ચિમ બંગાળમાં 6 ઓક્ટોબરે યોજાનારી પેટાચૂંટણી પહેલાં નંદીગ્રામ બેઠક પર મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. મમતા બેનર્જીના જૂથનાં ઉમેદવાર સંચિતા પ્રધાન ડેએ શુક્રવારે તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેમણે આ પહેલાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે મુલાકાત કરી હતી.

સંચિતા ડેએ ઉમેદવારી પાછી ખેંચતાં જ મમતા બેનર્જીએ નંદીગ્રામમાં કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી. જોકે, રેજીનગર બેઠક પરથી રબીયુલ આલમ ચૌધરી ચૂંટણી મેદાનમાં જળવાઈ રહ્યા છે. મમતાએ 13 સપ્ટેમ્બરે બંને ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી હતી.

આ ઘટનાક્રમ બાદ પશ્ચિમ બંગાળ કોંગ્રેસે દાવો કર્યો છે કે મમતાની જાહેરાતના બે કલાક બાદ બંગાળ પોલીસે મિલન પ્રધાનની એક જૂના કેસમાં ધરપકડ કરી લીધી. આ ધરપકડને રાજકીય ચશ્મા દ્વારા જોવામાં આવી રહી છે.

નંદીગ્રામ બેઠક મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ખાલી કરી હતી, જ્યારે રેજીનગર બેઠક હુમાયૂં કબીરના રાજીનામા બાદ ખાલી થઈ હતી. બંને બેઠકો પર 6 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 9 ઓક્ટોબરે જાહેર થશે.

ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા અંગે ચૂંટણી નિષ્ણાતો કહે છે કે નામ પાછું ખેંચવાની સમયમર્યાદા પૂરી થયા પછી રિટર્નિંગ ઓફિસર અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરે છે. એકવાર નામ કાયદેસર રીતે પાછું ખેંચાઈ ગયા પછી ઉમેદવાર પોતાનો નિર્ણય બદલી શકતો નથી અને ફરી ચૂંટણી લડી શકતો નથી. જો ઉમેદવારી પાછી ખેંચ્યા પછી માત્ર એક જ ઉમેદવાર બાકી રહે તો ચૂંટણી બિનહરીફ થઈ શકે છે. રિટર્નિંગ ઓફિસર પ્રક્રિયા પૂર્ણ કરીને તે ઉમેદવારને ચૂંટાયેલ જાહેર કરે છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે ટીએમસીના બંને જૂથોને અલગ-અલગ નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવી દીધાં છે. મમતા બેનર્જીના જૂથને ‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ અને ‘ફૂટબોલ ખેલાડી’નું ચિહ્ન મળ્યું છે, જ્યારે બીજા જૂથને ‘ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ’ અને ‘લિફાફા’ આપવામાં આવ્યું છે. આના એક દિવસ પહેલાં પંચે બંને જૂથોને ‘ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ નામ અને ‘ફૂલ-ઘાસ’વાળું મૂળ ચૂંટણી ચિહ્ન વાપરવા પર રોક લગાવી હતી. આ વચગાળાની વ્યવસ્થા છે અને મૂળ નામ તથા ચિહ્ન અંગેનો અંતિમ નિર્ણય હજુ આવવાનો બાકી છે.

નંદીગ્રામ બેઠક ટીએમસી અને ભાજપ બંને માટે મહત્વની ગણાય છે. આ વિસ્તારમાં 2007ના જમીન અધિગ્રહણ વિરોધી આંદોલને મમતા બેનર્જી અને ટીએમસીને 2011માં સત્તા સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. 2021માં મમતાએ અહીંથી શુભેન્દુ અધિકારી સામે ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. અધિકારી ભાજપમાં જોડાયા બાદ ટીએમસીના સૌથી મોટા પ્રતિસ્પર્ધી બની ચૂક્યા છે.

2026ની વિધાનસભા ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામની સાથે ભવાનીપુર બેઠક પરથી પણ ચૂંટણી લડી અને બંને જગ્યાએ જીત નોંધાવી. ભવાનીપુરમાં તેમણે મમતા બેનર્જીને 15,105 મતોથી હરાવ્યા. અધિકારીને 73,917 મત મળ્યા, જ્યારે મમતા બેનર્જીને 58,812 મત મળ્યા. બાદમાં અધિકારીએ ભવાનીપુર બેઠક પોતાની પાસે રાખી અને નંદીગ્રામમાંથી રાજીનામું આપી દીધું.

જો 4 મેના રોજ આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો નંદીગ્રામમાં શુભેન્દુને જીત મળી હતી. ત્યારે ભાજપને 50.37% મત મળ્યા હતા, જ્યારે ટીએમસીને 46.55% અને કોંગ્રેસને માત્ર 0.31% મત મળ્યા હતા. આ આંકડાના આધારે અનુમાન લગાવીએ તો મમતા અને કોંગ્રેસ સાથે આવે તો પણ બંને પક્ષો મળીને ભાજપ કરતાં વધુ મતશેર મેળવી શકે તેવી સ્થિતિ દેખાતી નથી. જોકે આ માત્ર અનુમાન છે.