મરાઠી ફિલ્મ 'ગોંધલ'ને 99મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર 2027) માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયા (FFI)એ શુક્રવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.
આ એક થ્રિલર ફિલ્મ છે, જે ઓસ્કાર સમારોહમાં 'બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ' કેટેગરીમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ વખતે ઓસ્કારની રેસમાં ભારત તરફથી કુલ 33 ફિલ્મો સામેલ થઈ હતી, જેમાંથી પસંદગી સમિતિએ 'ગોંધલ'ના નામ પર મહોર લગાવી છે.
આ વર્ષે ઓસ્કારની દાવેદારી માટે દેશભરની અલગ-અલગ ભાષાઓમાંથી કુલ 33 ફિલ્મો FFI પાસે મોકલવામાં આવી હતી. તેમાં સૌથી વધુ 14 ફિલ્મો હિન્દી ભાષાની હતી. આ ઉપરાંત મરાઠી, તેલુગુ અને ગુજરાતી ભાષામાંથી 4-4 ફિલ્મો, તમિલમાંથી 3 ફિલ્મો અને મલયાલમ તથા નાગામી ભાષામાંથી 1-1 ફિલ્મ સામેલ હતી.
33 ભારતીય ફિલ્મોની યાદીમાં 14 હિન્દી ફિલ્મો હક, 120 બહાદુર, તેરા મેરા નાતા, મૈં વાપસ આઊંગા, ઓહ માય ડૉગ, બોર્ડર 2, ખૂંટા, ધુરંધર, ધુરંધર ધ રિવેન્જ, ગવર્નર, 2020 દિલ્હી, ઇક્કીસ, ઑબ્સેસ અને હનુમાન અંશ છે. હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાઓની મજબૂત દાવેદારી છતાં મરાઠી ફિલ્મ 'ગોંધલ' બાજી મારવામાં સફળ રહી.
2 કલાકના રનટાઇમવાળી આ મરાઠી ફિલ્મ ગ્રામ્ય મહારાષ્ટ્રની લોકપરંપરા અને ધાર્મિક વિધિ ‘ગોંધલ’ પર આધારિત એક સાયકોલોજિકલ થ્રિલર છે. આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન સંતોષ ડાવખરે કર્યું છે.
ફિલ્મની વાર્તા નવપરિણીત દંપતી આનંદ અને સુમનના ઘરે આયોજિત રાતભર ચાલતી ગોંધલ વિધિની આસપાસ ફરે છે. પૂજા-પાઠ અને ઉત્સવ દરમિયાન ગામના લોકો વચ્ચેના દબાયેલા જૂના વિવાદો, વ્યક્તિગત અદાવતો અને રાજકીય તણાવો બહાર આવવા લાગે છે.
ગામના પાટીલનો પુત્ર સરજેરાવ, જે સુમન સાથે લગ્ન ન થઈ શકવાને કારણે નારાજ હતો, આ લગ્ન સ્વીકારી શકતો નથી અને ધીમે ધીમે આ પવિત્ર વિધિ એક ક્રાઇમ અને સસ્પેન્સ ડ્રામામાં ફેરવાઈ જાય છે. ફિલ્મમાં કિશોર કદમ, ઇશિતા દેશમુખ, યોગેશ સોહણી, નિષાદ ભોઈર અને સુરેશ વિશ્વકર્માએ મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.
આ ફિલ્મનું સંગીત મહાન સંગીતકાર ઇલૈયારાજાએ તૈયાર કર્યું છે. આ જ નિર્માણ માટે દિગ્દર્શક સંતોષ ડાવખરને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI)માં સિલ્વર પીકોક (શ્રેષ્ઠ દિગ્દર્શક)નો પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.
ફિલ્મની પસંદગી માટે ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ એક વિશેષ જ્યુરીની રચના કરી હતી. આ જ્યુરી પેનલમાં પી. શેષાદ્રી, વિજય પાટકર, હિતુ કનોડિયા, શાંતિ કુમાર, સંદીપ પરાશર, સંજય પાટીલ, સાબુ જોસેફ, અનિલ થોમસ, વિવેક વાસવાણી, બિજોન દાસગુપ્તા, હાસન, વાસન અને તનિષ્ઠા ચટર્જી જેવા દિગ્ગજો સામેલ હતા. જ્યુરી સભ્યોએ તમામ પ્રવેશિકાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કર્યા બાદ આ મરાઠી થ્રિલરને ઑસ્કાર 2027ના મંચ પર મોકલવાનો નિર્ણય લીધો.
ગયા વર્ષે ફિલ્મ ‘હોમબાઉન્ડ’ને ભારત તરફથી ઓસ્કર માટે મોકલવામાં આવી હતી. ફિલ્મમાં ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા મુખ્ય ભૂમિકામાં હતા. 2025માં અલગ-અલગ ભાષાઓની કુલ 24 ફિલ્મો પર ભારતની ઑસ્કર એન્ટ્રી માટે વિચાર કરવામાં આવ્યો હતો. તેમાંથી ‘હોમબાઉન્ડ’ની પસંદગી કરવામાં આવી હતી. તે સમયે પસંદગી સમિતિના ચેરપર્સન એન. ચંદ્રાએ કહ્યું હતું કે આ નિર્ણય ઘણો મુશ્કેલ હતો.