સત્ય. સાહસ. સંકલ્પ.

જન્માષ્ટમી: 4 સપ્ટેમ્બરે પૂજાનો શુભ સમય 11:26 થી 12:11, જાણો રોહિણી નક્ષત્રનું મહત્વ

જન્માષ્ટમી: 4 સપ્ટેમ્બરે પૂજાનો શુભ સમય 11:26 થી 12:11, જાણો રોહિણી નક્ષત્રનું મહત્વ

ભાદરવા મહિનાની અષ્ટમી તિથિએ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર આ વર્ષે 4 સપ્ટેમ્બરે ઉજવાશે. આ વખતે અષ્ટમી તિથિ 3 સપ્ટેમ્બરે મોડી રાત્રે 1:33 વાગ્યે શરૂ થઈ છે, જે 4 સપ્ટેમ્બરે રાત્રે 12:13 વાગ્યા સુધી રહેશે. ઉદયા તિથિ મુજબ આ તહેવાર 4 સપ્ટેમ્બરે જ મનાવવામાં આવશે, અને દેશના મોટાભાગના મંદિરોમાં તે જ દિવસે પૂજા થશે.

જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે જન્માષ્ટમી પર જયંતી યોગ બની રહ્યો છે. પૂજાનું મૂહુર્ત રાત્રે 11:26 થી 12:11 સુધીનું છે, એટલે કે ભક્તોને પૂજા માટે 46 મિનિટનો સમય મળશે. આ સમયગાળામાં રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિ અને મધ્યરાત્રિએ વૃષભ લગ્નનો શુભ સંયોગ છે, જે આ તહેવારને વધુ ફળદાયી બનાવે છે.

રોહિણી નક્ષત્રનું ખાસ મહત્વ છે. રોહિણી ચંદ્રદેવની પત્ની છે અને તેમનું સૌથી પ્રિય નક્ષત્ર છે. ધાર્મિક માન્યતા મુજબ, ચંદ્રદેવે ઈચ્છા વ્યક્ત કરી હતી કે જ્યારે નારાયણ તેમના વંશમાં અવતાર લે, ત્યારે તેઓ તેમના દર્શન કરી શકે. આ ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને મધ્યરાત્રિએ કૃષ્ણ રૂપે જન્મ લીધો. એ સમયે આકાશમાં રોહિણી નક્ષત્ર હતું અને ચંદ્રદેવ પ્રગટ થયા, જેથી આ નક્ષત્રમાં પૂજાનું વિશેષ મહત્વ છે.

આ દિવસે ગ્રહોની સ્થિતિ પણ ખાસ છે. દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં ઉચ્ચના છે, સૂર્યદેવ પોતાની સ્વરાશિ સિંહમાં છે, અને શુક્ર તુલા રાશિમાં છે. આ સંયોગોથી ભક્તોને શુભ ફળ મળે તેવી માન્યતા છે. જયંતી યોગમાં કરેલી પૂજા અને ધ્યાન અક્ષય ફળ આપે છે. વ્રત રાખનારાઓ 5 સપ્ટેમ્બરે સવારે પારણું કરશે.