કાશ્મીરી પંડિતોને છેલ્લા 26 દિવસમાં ત્રીજી વખત ધમકી આપવામાં આવી છે. આ વખતે ધમકીભર્યા પત્રમાં તેમના નામ, સરનામા, ગાડીનો રંગ અને રજિસ્ટ્રેશન નંબર સુધીની વિગતો આપવામાં આવી છે. આ પત્ર 'યુનાઇટેડ લિબરેશન કાઉન્સિલ' (યુએલસી) તરફથી ટેલિગ્રામ ચેનલ દ્વારા મોકલવામાં આવ્યો છે, જેને ગુપ્તચર એજન્સીઓ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું મુખૌટો માને છે.
આ પત્રોમાં આતંકવાદીઓની મિલકતો જપ્ત કરવા બદલ સરકારી વિભાગો અને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે. ત્યારબાદ સ્થાનિક વહિવટીતંત્રે સરકારી કર્મચારીઓ અને કાશ્મીરી પંડિતોને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. જોકે, પંડિતોનું કહેવું છે કે આ કાયમી ઉપાય નથી.
અનંતનાગમાં રહેતા કાશ્મીરી પંડિત અને રેવેન્યુ વિભાગના કર્મચારી સાહિલ રૈનાએ જણાવ્યું હતું કે, 'આ ધમકીઓ જૂના ડરને ફરી તાજો કરે છે. 90ના દાયકામાં અમારે કશ્મીર છોડવું પડ્યું હતું. હવે અમારા વડીલો ડરેલા છે. અમે ઇતિહાસનું પુનરાવર્તન નથી ઇચ્છતા.' તેમણે સુરક્ષા એજન્સીઓને આ પત્રોની તપાસ કરવા અને અંગત માહિતી લીક થવાના સ્ત્રોત શોધવાની માંગ કરી.
જમ્મુમાં રહેતા વિસ્થાપિત કાશ્મીરી પંડિત રાકેશ કૌલે જણાવ્યું હતું કે, '37 વર્ષ પહેલાં જે ભાષામાં ધમકીઓ આપવામાં આવતી હતી, તે જ ભાષા આજે પણ વપરાઈ રહી છે. અમે ડરશું નહીં, પરંતુ એજન્સીઓએ આ ધમકીઓની જડ સુધી પહોંચવું જોઈએ.' તેમણે ઉમેર્યું કે ધમકી પાછળ કોણ છે અને તેનો હેતુ શું છે, તેની તપાસ થવી જોઈએ.
સંગઠન 'પનુન કશ્મીર'ના સ્થાપક ડૉ. અગ્નિશેખરે કાશ્મીરી પંડિતો માટે અલગ જમીનની માંગ કરી છે. તેમણે કહ્યું કે સરકારો વારંવાર દાવો કરે છે કે કશ્મીરમાં હાલત સામાન્ય છે, પરંતુ જો એવું હોત તો 37 વર્ષ પછી પણ કાશ્મીરી પંડિતો પોતાના ઘરે કેમ પાછા નથી ફર્યા?