અગરતલાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ 6E6504 ના કાર્ગો વિભાગમાં સ્મોક એલાર્મ વાગતાં અફરાતફરી સર્જાઈ હતી. 103 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સાથેની આ ફ્લાઇટને તાત્કાલિક લખનૌ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. એરપોર્ટ પ્રશાસને ઈમરજન્સી પ્રોટોકોલ લાગુ કરી ફાયર અને મેડિકલ ટીમોને તૈનાત કરી હતી. સાંજે 6:29 વાગ્યે ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતરી, અને તમામ મુસાફરો સલામત છે.
આ ઘટના બાદ એરપોર્ટ પર તણાવનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ પ્રશાસનની ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ. મુસાફરોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી અને કોઈ જાનહાનિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, 3 સપ્ટેમ્બરે પણ વારાણસી-દિલ્હી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં સ્મોક એલાર્મ વાગ્યા બાદ 155 મુસાફરો સાથે લખનૌમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. જોકે, તપાસમાં આગની કોઈ ઘટના જોવા મળી નહોતી.