ઉત્તર અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય નૌકાદળના જહાજ અને પાકિસ્તાની નૌકાદળના જહાજ વચ્ચે ટક્કર થઈ છે. ભારતીય નૌકાદળનું જહાજ નિયમિત દેખરેખ મિશન પર તૈનાત હતું. આ દરમિયાન પાકિસ્તાની જહાજ પીએનએસ હુનૈન તેજ ગતિએ ભારતીય જહાજની નજીક આવ્યું અને અસુરક્ષિત રીતે દિશા બદલી. પરિણામે બંને જહાજો વચ્ચે ટક્કર થઈ. આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી.
ભારતીય નૌકાદળના જે જહાજ સાથે ટક્કર થઈ તેની માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી. પાકિસ્તાની જહાજ પીએનએસ હુનૈન એ યારમૂક ક્લાસનું દરિયાઈ પેટ્રોલિંગ જહાજ છે, જેનો ઉપયોગ સમુદ્રમાં દેખરેખ અને પેટ્રોલિંગ માટે થાય છે.
ઘટના બાદ ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેયર્સને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની નૌકાદળના જહાજના વર્તનને અસ્વીકાર્ય અને બિન-વ્યાવસાયિક ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ચાર્જ ડી'અફેયર્સ ભારતનો વાંધો પાકિસ્તાનના સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડે. ભારતે એમ પણ કહ્યું કે સમુદ્રમાં તમામ સૈન્ય જહાજોએ સાવચેતીપૂર્વક કામ કરવું જોઈએ અને બંને દેશો વચ્ચે થયેલા કરારોનું પાલન કરવું જોઈએ.
ભારતે જણાવ્યું કે પાકિસ્તાની જહાજનું આ પગલું એપ્રિલ 1991માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરારના આર્ટિકલ 10ની વિરુદ્ધ છે. આ કરાર હેઠળ બંને દેશોએ નક્કી કર્યું છે કે આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં તેમના યુદ્ધ જહાજો અને સબમરીન એકબીજાની ખૂબ નજીક નહીં આવે. આર્ટિકલ 10 મુજબ, બંને દેશોના યુદ્ધ જહાજો અને સબમરીન એકબીજાથી 3 નોટિકલ માઈલ એટલે કે લગભગ 5.56 કિલોમીટરથી ઓછા અંતરે આવી શકતા નથી. આ કરારમાં સૈન્ય અભ્યાસ અને સૈનિકોની અવરજવરની જાણકારી પહેલા આપવાના નિયમો પણ સામેલ છે.
સમુદ્રમાં જમીનની જેમ સ્પષ્ટ સીમા રેખા હોતી નથી. બંને દેશોના યુદ્ધ જહાજો અને સબમરીન આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં કામ કરી શકે છે. તેથી જો બે દેશોના સૈન્ય જહાજો અચાનક એકબીજાની ખૂબ નજીક આવી જાય અથવા તેમની દિશા એકબીજા તરફ થઈ જાય, તો ટક્કર અથવા તણાવની સ્થિતિ બની શકે છે.
ભારતે ઇસ્લામાબાદમાં હાજર ભારતીય ચાર્જ ડી'અફેયર્સને પણ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ ભારત તરફથી વિરોધ નોંધાવવા માટે કહ્યું છે. ભારતે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.
આ પહેલા પણ ભારત અને પાકિસ્તાનની નૌકાદળ વચ્ચે સમુદ્રમાં આવી ઘટના બની ચૂકી છે. વર્ષ 2011માં ભારતીય નૌકાદળના INS દોગાવરી અને પાકિસ્તાની નૌકાદળના PNS બાબર વચ્ચે ટક્કરની સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે બંને દેશોએ એકબીજાના જહાજ પર ખતરનાક રીતે ચાલવાનો આરોપ લગાવ્યો હતો અને ભારતે 1991ના કરારના આર્ટિકલ 10નો હવાલો આપતા પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો હતો. વર્તમાન કેસમાં પણ ભારતે સમુદ્રમાં નિર્ધારિત નિયમો અને બંને દેશોના જહાજો વચ્ચે સુરક્ષિત અંતર જાળવવા અંગે વાંધો ઉઠાવ્યો છે.