અમેરિકાની ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિફિક્સ (FAS)એ ભારતના પરમાણુ હથિયારો અંગે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટ મુજબ ભારત પાસે હાલમાં અંદાજે 190 પરમાણુ હથિયારો છે. જેમાંથી 160થી વધુ હથિયારો સક્રિય ડિલિવરી સિસ્ટમ સાથે જોડાયેલા છે.
પરમાણુ શક્તિ ધરાવતા દેશો પોતાના ભંડારની ચોક્કસ સંખ્યા જાહેરમાં જાહેર કરતા નથી. ભારત પણ આ જ પદ્ધતિ અપનાવે છે. તેથી FAS જેવી સંસ્થાઓના અંદાજો વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બને છે. રિપોર્ટ અનુસાર કુલ ભંડાર 190 હથિયારોનો હોઈ શકે છે, પરંતુ લૉન્ચર્સ સાથે જોડાયેલા હથિયારોની સંખ્યા 160 આસપાસ છે.
બાકીના વધારાના હથિયારો એવી મિસાઈલો માટે બનાવવામાં આવ્યા છે જે હાલમાં ઉત્પાદન કે વિકાસના તબક્કામાં છે. જેમાં અગ્નિ-પ્રાઇમ અને લાંબા અંતરની K-4 જેવી મિસાઈલોનો સમાવેશ થાય છે. વિશેષજ્ઞોના મતે આ કોઈ અવ્યવસ્થા નથી, પરંતુ પરમાણુ રણનીતિનો સામાન્ય હિસ્સો છે. જેથી નવી સિસ્ટમ તૈયાર થતાં જ હથિયારો તુરંત ઉપલબ્ધ થઈ શકે.
વધારાના હથિયારો રાખવા પાછળનો મુખ્ય હેતુ ભવિષ્યની જરૂરિયાતો અને કટોકટીના સમયમાં ઝડપથી તૈનાતી કરવાનો છે. જ્યારે નવી ડિલિવરી સિસ્ટમ સેવામાં આવે ત્યારે અગાઉથી તૈયાર હથિયારો ઉપલબ્ધ હોવાથી પ્રતિરોધક ક્ષમતા વધુ મજબૂત બને છે. ભારતની પરમાણુ નીતિ હંમેશાં 'વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધક ક્ષમતા' પર ભાર મૂકે છે. આ વધારાના હથિયારો આ ક્ષમતાને જાળવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.
આ આંકડા બાહ્ય સંસ્થાના હોવાથી વાસ્તવિક સંખ્યા અલગ હોઈ શકે છે. પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ તમામ વિકાસ છતાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે ભારત પોતાની 'નો-ફર્સ્ટ-યુઝ' નીતિ પર સંપૂર્ણપણે મક્કમ છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પરમાણુ હથિયારોનો ઉપયોગ માત્ર ત્યારે જ કરશે જ્યારે તેના પર પરમાણુ હુમલો થશે. આ ઉપરાંત ભારતે પોતાના પરમાણુ પરીક્ષણો પરની સ્વૈચ્છિક રોક પણ જાળવી રાખી છે. જે દેશના સંયમિત અને જવાબદાર વલણને દર્શાવે છે.
ભારતની પરમાણુ શક્તિનો વિકાસ દશકોથી ચાલી રહ્યો છે. જેમાં લેન્ડ બેસ્ડ મિસાઈલો, સમુદ્ર આધારિત ક્ષમતાઓ અને હવાઈ પ્લેટફોર્મ ત્રણેય મોરચે કામ ચાલી રહ્યું છે. અગ્નિ-પ્રાઇમ અને K-4 જેવી મિસાઈલોના ઉમેરાથી દેશની એકંદર તાકાતમાં વધારો થશે. આ આખો અભિગમ અસંતુલિત વિસ્તરણને બદલે એક આયોજનબદ્ધ તૈયારી અને સુરક્ષાત્મક સંતુલનનું પ્રતીક છે.