વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી તમારી વાત, સૂચન કે સરકારી વિભાગ સામેની ફરિયાદ પહોંચાડવા માટે સરકારે ઓનલાઇન અને ઓફલાઇન અનેક માધ્યમો ઉપલબ્ધ કરાવ્યા છે. તમે પીએમઓ પોર્ટલ, CPGRAMS, નમો એપ કે પત્ર દ્વારા સંપર્ક કરી શકો છો. તેમજ ફરિયાદ પર શું કાર્યવાહી થઈ તેનું સ્ટેટસ પણ જાણી શકાય છે.
1. પીએમઓ લોક ફરિયાદ પોર્ટલ: આ પોર્ટલ સીધું વડાપ્રધાન કાર્યાલય (PMO) હેઠળ ચાલે છે, જ્યાં ફરિયાદો સીધી પીએમઓની વહીવટી શાખામાં નોંધાય છે. સત્તાવાર વેબસાઇટ pmopg.gov.in અથવા pmindia.gov.in પર જઈને 'Write to the Prime Minister' વિકલ્પ પસંદ કરવો. નોંધનીય છે કે, પીએમ મોદીએ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન વારાણસી બેઠકના સોગંદનામામાં પોતાનો મોબાઈલ નંબર 8980809224 અને ઈમેલ આઈડી narendramodi@narendramodi.in દર્શાવેલ હતા. પોર્ટલ પર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરી OTP થી વેરિફિકેશન કરવું. મહત્તમ 3000 શબ્દોમાં ફરિયાદ સ્પષ્ટ રીતે લખવી. પુરાવા રૂપે દસ્તાવેજો હોય તો PDF ફોર્મેટમાં અપલોડ કરવા. સબમિટ કરતાં જ એક યુનિક રજિસ્ટ્રેશન નંબર મળશે, જેનાથી ફરિયાદનું સ્ટેટસ ટ્રેક કરી શકાશે. ફરિયાદ પર થયેલી કાર્યવાહીનું સ્ટેટસ 011-23386447 નંબર પરથી પણ જાણી શકાય છે.
2. CPGRAMS પોર્ટલ: આ કેન્દ્ર સરકારનું સત્તાવાર ફરિયાદ નિવારણ પોર્ટલ છે, જે તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારોને આવરી લે છે. વેબસાઇટ pgportal.gov.in પર જઈને ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકાય છે. પોર્ટલના વોટ્સએપ નંબર અને AI ચેટબોટની મદદથી મોબાઈલ દ્વારા પણ ફરિયાદ દાખલ થઈ શકે છે. ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી 'MyGrievance' એપ ડાઉનલોડ કરીને પણ ફરિયાદ નોંધાવી શકાય છે.
3. નરેન્દ્ર મોદી એપ (NaMo App): આ વડાપ્રધાનનું અંગત ડિજિટલ પ્લેટફોર્મ છે. એપ સ્ટોર પરથી NaMo App ડાઉનલોડ કરીને 'Write to PM' અથવા 'Share Your Ideas' વિકલ્પ પસંદ કરી સીધા સૂચનો કે ફરિયાદો મોકલી શકાય છે. દેશના વિકાસ કે સરકારી નીતિઓ અંગે નવું સૂચન આપવા માટે MyGov પણ યોગ્ય પ્લેટફોર્મ છે.
4. ટપાલ દ્વારા પત્ર: તમે તમારી વાત સીધી પત્ર મારફતે વડાપ્રધાન કાર્યાલયને મોકલી શકો છો. નવું સરનામું: સેવા તીર્થ (PMO), કર્તવ્ય ભવન, દારા શિકોહ રોડ / કર્તવ્ય પથ વિસ્તાર, નવી દિલ્હી - 110011. દિલ્હી-NCRના રહેવાસીઓ નવી દિલ્હીમાં સાઉથ બ્લોક ખાતે આવેલા PMO ટપાલ કાઉન્ટર પર જઈને જાતે જ ફરિયાદની હાર્ડ કોપી જમા કરાવી શકે છે. ફેક્સ દ્વારા ફરિયાદ મોકલવા માટે ફેક્સ નંબર 011-23016857 અથવા 011-23019545 નો ઉપયોગ કરી શકાય છે, જ્યારે સંપર્ક માટે 011-23074072 ઉપલબ્ધ છે.
5. પૂછપરછ અને 'મન કી બાત' સંપર્ક નંબર: લેખિત ફરિયાદ સ્ટેટસ: 011-23386447 પર કૉલ કરીને ટપાલ દ્વારા મોકલેલી ફરિયાદનું સ્ટેટસ જાણી શકાય છે. મન કી બાત: ટોલ ફ્રી નંબર 1800 11 7800 પર કૉલ કરીને પોતાના અવાજમાં વડાપ્રધાન માટે રેકોર્ડેડ સંદેશ મોકલી શકાય છે.
6. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર સક્રિય છે. નીચે આપેલા હેન્ડલ્સને ટેગ કરીને પણ વાત પહોંચાડી શકાય છે: X (Twitter): @narendramodi અને @PMOIndia, Facebook: facebook.com/narendramodi, Instagram: @narendramodi.