સત્ય. સાહસ. સંકલ્પ.

વારંવાર ખૂબ ગરમ ચા-કોફી પીવાથી અન્નનળીના કેન્સરનું જોખમ ત્રણ ગણું વધી શકે છે

વારંવાર ખૂબ ગરમ ચા-કોફી પીવાથી અન્નનળીના કેન્સરનું જોખમ ત્રણ ગણું વધી શકે છે

ભારતમાં ચા અને કોફી પીનારાઓની સંખ્યા ઘણી મોટી છે. ઘણા લોકો ઉકળતી ગરમ ચા કે કોફી પીવાનું પસંદ કરે છે. પરંતુ એક નવા સંશોધન અનુસાર, આ આદત અન્નનળીના કેન્સરનું જોખમ વધારી શકે છે.

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત અભ્યાસ મુજબ, દિવસમાં છ કે તેથી વધુ વખત અતિશય ગરમ પીણાં પીવાથી અન્નનળીના કેન્સરનું જોખમ ત્રણ ગણું સુધી વધી જાય છે. લગભગ 10 લાખ લોકો પર આ સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને અન્નનળીના સ્ક્વામસ સેલ કાર્સિનોમા (SCC)ના કેસો જોવા મળ્યા હતા. આ વિશ્વભરમાં અન્નનળીના કેન્સરનું સૌથી સામાન્ય સ્વરૂપ છે.

અન્નનળી એ સ્નાયુબદ્ધ નળી છે, જે ખોરાક અને પીણાંને મોંમાંથી પેટ સુધી પહોંચાડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની કેન્સર એજન્સી ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) અનુસાર, વર્ષ 2020માં વિશ્વભરમાં અન્નનળીના કેન્સરના લગભગ 6,04,000 નવા કેસ નોંધાયા હતા અને લગભગ 5,44,000 મૃત્યુ થયા હતા. એજન્સીનો અંદાજ છે કે 2040 સુધીમાં વૈશ્વિક કેસોમાં 50%થી વધુ વધારો થશે અને દર વર્ષે લગભગ 10 લાખ નવા કેસ સામે આવશે.

સંશોધનમાં ભાગ લેનારા લોકોને પૂછવામાં આવ્યું હતું કે તેઓ રોજ કેટલા ગરમ પીણાં પીવે છે. તેમને રોજ છ કે તેથી ઓછા પીણાં અથવા છ કે તેથી વધુ પીણાંના વિકલ્પમાંથી પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. સાથે જ તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમને ગરમ, ખૂબ ગરમ કે નવશેકા (હળવા ગરમ) પીણાં પીવા પસંદ છે.

સંશોધકોએ જાણવા મળ્યું કે લગભગ અડધા લોકોએ રોજ છ કે તેથી વધુ ગરમ પીણાં પીવાની માહિતી આપી હતી, જ્યારે લગભગ 15% લોકોએ કહ્યું હતું કે તેમને ખૂબ ગરમ પીણાં પસંદ છે. પીણાંના તાપમાન અનુસાર અન્નનળીના SCCનું જોખમ વધે છે. જે લોકોને ગરમ પીણાં પસંદ હતા, તેમનામાં નવશેકા પીણાં પસંદ કરનારાઓની સરખામણીમાં કેન્સરનું જોખમ લગભગ બમણું હતું. જે લોકો ખૂબ ગરમ પીણાં પસંદ કરતા હતા, તેમનામાં આ જોખમ ત્રણ ગણાથી પણ વધુ હતું.

પીણાંની માત્રા પણ મહત્વની છે. તાપમાનને ધ્યાનમાં લીધા પછી સંશોધકોએ શોધી કાઢ્યું કે રોજ છ કે તેથી વધુ ગરમ પીણાં પીવાથી છથી ઓછા પીનારાઓની સરખામણીમાં અન્નનળીના SCCનું જોખમ 71% વધુ હોય છે. તેથી જો ચા અને કોફી ઓછા તાપમાને પીવામાં આવે, તો એસોફેજિયલ SCCના નવા કેસોને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

આ લેખ અને માહિતી માત્ર શૈક્ષણિક અને જાગરૂકતાના હેતુથી તૈયાર કરવામાં આવી છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ કે નિદાનનો વિકલ્પ નથી. આરોગ્ય સંબંધિત કોઈપણ ગંભીર સમસ્યા કે ફેરફાર માટે હંમેશાં યોગ્ય ડોક્ટર અથવા હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી.