સત્ય. સાહસ. સંકલ્પ.

AI માનવજાતનો અંત લાવી શકે છે? 'ગોડફાધર ઓફ AI' જેફ્રી હિન્ટને આગામી 10 વર્ષમાં ખતરો ગણાવ્યો

AI માનવજાતનો અંત લાવી શકે છે? 'ગોડફાધર ઓફ AI' જેફ્રી હિન્ટને આગામી 10 વર્ષમાં ખતરો ગણાવ્યો

છેલ્લાં કેટલાંક વર્ષોમાં કૃત્રિમ બુદ્ધિ (AI) ઝડપથી વિકસી છે. પરંતુ તેના લાંબા ગાળાના જોખમો અંગે ટેકનોલોજીના શરૂઆતના નિષ્ણાતોની ચિંતા વધી રહી છે. AIના 'ગોડફાધર' તરીકે ઓળખાતા નોબેલ પુરસ્કાર વિજેતા જેફ્રી હિન્ટને ચેતવણી આપી છે કે આગામી એક દાયકામાં એટલે કે 10 વર્ષના સમયગાળામાં AI માનવ સભ્યતાનો અંત લાવી શકે છે.

એક કાર્યક્રમમાં બોલતાં કમ્પ્યુટર વૈજ્ઞાનિક હિન્ટને કહ્યું કે આવું થવાની શક્યતા આશરે 10% છે. જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે આ જોખમનો ચોક્કસ અંદાજ લગાવવાની કોઈ મજબૂત રીત નથી.

હિન્ટને કહ્યું કે 10% જોખમનો અંદાજ મારા મતે ખોટો નથી. તેમણે ઉમેર્યું કે જોખમનો આંકડો આનાથી ઘણો ઓછો રાખવો પણ યોગ્ય નહીં હોય, કારણ કે હાલમાં કોઈને ખબર નથી કે આ જોખમનું ચોક્કસ આકલન કેવી રીતે કરવું.

હિન્ટને સ્પષ્ટતા કરી કે AIથી પેદા થતા જોખમોની સમયમર્યાદામાં હવે મોટો ફેરફાર આવ્યો છે. પહેલાં તેમનું માનવું હતું કે AIથી માનવ અસ્તિત્વને ખતરો ઊભો થવામાં 30થી 50 વર્ષ લાગશે. બાદમાં તેમણે આ સમયગાળો ઘટાડીને 10થી 20 વર્ષ કર્યો. હવે તેમનું માનવું છે કે આ ખતરો આગામી 10 વર્ષમાં અથવા તેનાથી પણ ઓછા સમયમાં સામે આવી શકે છે. તેમણે સ્વીકાર્યું કે ઘણા સંશોધકોનો અંદાજ આનાથી પણ ઓછા સમયનો છે.

AIના જોખમો અંગે હિન્ટનની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે આ મુદ્દે વૈશ્વિક ચર્ચા તેજ બની ગઈ છે. તાજેતરમાં એન્થ્રોપિકના પૂર્વ સંશોધક જેકબ કૉક્સને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. કૉક્સને અનુમાન વ્યક્ત કર્યું હતું કે 10 વર્ષમાં AI દ્વારા માનવોનો નાશ થવાની સંભાવના 10 ટકાથી વધુ છે. તેમણે AI કંપનીઓ પર આરોપ લગાવ્યો કે તેઓ પોતાની જાતને સુધારી શકતી સુપરઇન્ટેલિજન્સ બનાવવાની હોડમાં માનવજીવન સાથે ચેડાં કરી રહી છે. આ ઉપરાંત, એન્થ્રોપિકના સેફ્ટી સંશોધક ઇવાન હ્યુબિંગરે પણ જોખમની સંભાવના 10 ટકાથી વધુ ગણાવી છે.

હિન્ટનનું કહેવું છે કે ભવિષ્ય બે અલગ દિશામાં જઈ શકે છે. જો જોખમોનું યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે, તો AIથી સમાજને મોટા ફાયદા પણ થઈ શકે છે. આ માટે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે કડક નિયમો અને સહયોગ સ્થાપિત કરવાની માંગ કરી છે. હિન્ટનના અનુસાર, એડવાન્સ્ડ AI સિસ્ટમ્સને મનુષ્યોના નિયંત્રણની બહાર જતી અટકાવવામાં તમામ દેશોનું સમાન હિત છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું દુનિયાની સરકારો યોગ્ય સમયે એકસાથે મળીને તેના નિયમો બનાવી શકશે.