ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારત-બ્રાઝિલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચને સમર્થન આપ્યું છે. ગુરુવારે તેમણે કહ્યું કે બ્રાઝિલ જેવી મજબૂત ટીમના આવવાથી ભારતીય ફૂટબોલને સારો એક્સપોઝર મળશે.
આ મેચ 3 ઓક્ટોબરે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ફૂટબોલ મહાસંઘે આ પોસ્ટર દ્વારા ટિકિટ વેચાણની જાહેરાત કરી છે.
ગાંગુલીએ કહ્યું, 'ફૂટબોલ એક શાનદાર રમત છે. મને તે જોવી ગમે છે. બ્રાઝિલ વિશ્વના મહાન ફૂટબોલ દેશોમાંનો એક છે. મને આશા છે કે તેઓ ખૂબ જ મજબૂત ટીમ સાથે આવશે.'
અગાઉ ભૂતપૂર્વ ફૂટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયાએ ભારતીય ચાહકોને આ મેચના બહિષ્કારની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મેચ પર 50થી 70 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે, જે એક ફ્રેન્ડલી મેચ માટે યોગ્ય નથી. આ પૈસા બંગાળના ખેલાડીઓ, ફૂટબોલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક તંગી ઝેલતી ક્લબો પર ખર્ચી શકાય તેમ હતા.