સત્ય. સાહસ. સંકલ્પ.

ગડકરીનું નિવેદન: શિક્ષિત વિસ્તારો કરતાં રેડ લાઈટ એરિયામાંથી વધુ વોટ મળ્યા હોવાનો દાવો

ગડકરીનું નિવેદન: શિક્ષિત વિસ્તારો કરતાં રેડ લાઈટ એરિયામાંથી વધુ વોટ મળ્યા હોવાનો દાવો

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમમાં કરેલા નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. તેમણે દાવો કર્યો કે ચૂંટણીમાં તેમને શિક્ષિત વિસ્તારો કરતાં ક્રિમિનલ, અંડરવર્લ્ડ અને રેડ લાઈટ વિસ્તારોમાંથી વધુ મત મળ્યા હતા.

ગડકરીએ કહ્યું કે, 'ચૂંટણીમાં શિક્ષિત લોકો કરતાં અંડરવર્લ્ડ અને રેડ લાઈટ વિસ્તારોમાંથી મને વધુ મત મળ્યા હતા. શહેરના મોટા અને શિક્ષિત વિસ્તારોમાં મને કુલ મતદાન ટકાવારીના લગભગ 70-75 ટકા મત મળ્યા, જ્યારે ગુનેગાર, અંડરવર્લ્ડ અને રેડ લાઈટ વિસ્તારોમાંથી મને 92 ટકા મત મળ્યા.'

જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ આવા લોકોના કામનું સમર્થન નથી કરતા. તેમણે કહ્યું, 'નાગપુરમાં અંડરવર્લ્ડ અને અસામાજિક કાર્યો સાથે જોડાયેલા લગભગ 99 ટકા લોકો મારા સમર્થક છે. જોકે આનો અર્થ બિલકુલ એવો નથી કે હું તેમના કામ કે પ્રવૃત્તિઓનું સમર્થન કરું છું. તે વિસ્તારોમાં રસ્તા બનાવડાવવા અને સામાજિક કાર્ય કરવાના કારણે ત્યાંના લોકોએ મને મત આપ્યા છે.'

ગડકરી તેમના બેબાક નિવેદનો માટે જાણીતા છે. અગાઉ પણ તેમણે અનેક નિવેદનો આપ્યા છે, જે ચર્ચાનું કારણ બન્યા છે. તાજેતરમાં તેમણે જણાવ્યું હતું કે ખૂબ કામ કરી લીધું, હવે નવી પેઢીને તક મળવી જોઈએ.