સત્ય. સાહસ. સંકલ્પ.

EPFO લાવ્યું VISHWAS 2026: જૂના PF વિવાદોનો ઉકેલ, પેનલ્ટીમાં મોટો ઘટાડો

EPFO લાવ્યું VISHWAS 2026: જૂના PF વિવાદોનો ઉકેલ, પેનલ્ટીમાં મોટો ઘટાડો

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ જૂના પ્રોવિડન્ટ ફંડ (PF) વિવાદોને પતાવવા માટે 'VISHWAS 2026' નામની નવી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, પાત્ર કંપનીઓ અને નોકરીદાતાઓને PF જમા કરાવવામાં થયેલા વિલંબના જૂના કેસો એક સાથે પતાવવાની તક મળશે.

આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં પેનલ્ટીમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે PF ભરવામાં વિલંબ થાય ત્યારે વાર્ષિક 37 ટકા સુધીની પેનલ્ટી વસૂલાતી હતી. હવે, VISHWAS 2026 હેઠળ, 2 મહિના સુધીના વિલંબ પર દર મહિને 0.25 ટકા, 2 થી 4 મહિનાના વિલંબ પર 0.50 ટકા અને 4 મહિનાથી વધુ વિલંબ પર માત્ર 1 ટકા પેનલ્ટી લેવાશે.

આ યોજનાનો લાભ 14 જૂન 2024 પહેલાંના વિલંબના કેસોને મળશે. જેમાં કોર્ટ અથવા ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ કેસો, પેનલ્ટી ઓર્ડર પછી રિકવરી બાકી હોય તેવા કેસો, પેન્ડિંગ પેનલ્ટી નોટિસવાળા મામલા તેમજ વિલંબ નોંધાયો હોય પરંતુ હજુ પેનલ્ટી નોટિસ ન જારી થઈ હોય તેવા કિસ્સાઓનો સમાવેશ થાય છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર 2026 છે. EPFO એ જણાવ્યું છે કે આ મુદતમાં વધારો થવાની શક્યતા નથી, તેથી સમયસર પતાવટ કરી લેવી હિતાવહ છે. નોકરીદાતાઓએ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. પહેલા બાકી વ્યાજ ભરવું પડશે, ત્યારબાદ પોર્ટલ નવી ગણતરી મુજબ પેનલ્ટી નક્કી કરશે, જે ચૂકવવા માટે 15 દિવસનો સમય મળશે, અને જરૂર પડ્યે વધુ 15 દિવસની મુદત પણ લઈ શકાશે. ચુકવણી પછી ડિજિટલી સાઈન કરેલું સેટલમેન્ટ સર્ટિફિકેટ મળશે, જેના આધારે કોર્ટ અથવા ટ્રિબ્યુનલના કેસ બંધ થઈ શકશે.

આ યોજનાને દેશની વિવિધ હાઈકોર્ટોએ પણ આવકારી છે. બોમ્બે હાઈકોર્ટની પુણે બેંચે એક નોકરીદાતાને આ યોજના હેઠળ અરજી કરવા જણાવ્યું હતું. મદ્રાસ હાઈકોર્ટે નોકરીદાતાની સંમતિ બાદ કેસ બંધ કર્યો હતો, જ્યારે કેરળ હાઈકોર્ટે પણ 19 અલગ-અલગ કેસોમાં નોકરીદાતાઓને આ યોજનાનો લાભ લેવા નિર્દેશ આપ્યો છે. EPFO એ 153 પ્રાદેશિક કચેરીઓમાં ખાસ VISHWAS સેલ અને હેલ્પડેસ્ક પણ શરૂ કર્યા છે.