કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ સભ્યો માટે એડવાન્સ ઉપાડના નિયમો સરળ બનાવ્યા છે. જૂન 2025માં ઓટો-સેટલમેન્ટની મર્યાદા ₹1 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી છે. આ સુવિધા હેઠળ ગંભીર બીમારી, શિક્ષણ, લગ્ન અને આવાસ માટેના દાવા ત્રણ દિવસમાં સિસ્ટમ વેલિડેશન દ્વારા પતી શકે છે. જોકે, આનો અર્થ એ નથી કે દરેક દાવો આપમેળે મંજૂર થશે; દરેક દાવાની પાત્રતા ચકાસવામાં આવશે.
બીમારીના કિસ્સામાં સભ્ય પોતાના અથવા પરિવારની ચોક્કસ બીમારીની સારવાર માટે મૂળ વેતન અને મોંઘવારી ભથ્થાના છ મહિના અથવા કર્મચારીના હિસ્સા અને વ્યાજમાંથી જે ઓછું હોય તે રકમ ઉપાડી શકે છે.
બેરોજગારીમાં, જો સભ્ય એક મહિનાથી વધુ સમય માટે બેરોજગાર રહે, તો તે કુલ PF બેલેન્સના 75% સુધી ઉપાડી શકે છે. આવાસ માટે, ઘર ખરીદવા, બનાવવા, પ્લોટ ખરીદવા કે હોમ લોન ચૂકવવા માટે PF બેલેન્સના 90% સુધી ઉપાડી શકાય છે.
શિક્ષણ અને લગ્ન માટે અગાઉ કર્મચારીના હિસ્સાના 50% સુધી અથવા તેનાથી ઓછી રકમની મર્યાદા હતી. ઓક્ટોબર 2025માં EPFOના સેન્ટ્રલ બોર્ડે આંશિક ઉપાડ માટે ન્યૂનતમ સેવાની આવશ્યકતા ઘટાડીને 12 મહિના કરવાની મંજૂરી આપી છે. સભ્યોએ અરજી કરતા પહેલાં પોર્ટલ પર નવીનતમ પાત્રતા ચકાસવી જરૂરી છે.
EPFO એડવાન્સ ઉપાડ સરળ બનાવવા છતાં, નિષ્ણાતો સલાહ આપે છે કે PF એ નિવૃત્તિ માટેની બચત છે. કોઈપણ આર્થિક જરૂરિયાતમાં PFમાંથી નાણાં ઉપાડતા પહેલાં વિચારવું જોઈએ કે આ ખર્ચ ખરેખર અત્યંત જરૂરી છે કે નહીં, અને આવક અથવા અન્ય વિકલ્પો ઉપલબ્ધ છે કે નહીં. PFનો ઉપયોગ કટોકટીના સમયના નાણાકીય સુરક્ષા કવચ તરીકે જ કરવો જોઈએ, નિયમિત રોકડ સ્ત્રોત તરીકે નહીં.