સત્ય. સાહસ. સંકલ્પ.

અલ નીનોની અસર: દેશમાં 15% ઓછો વરસાદ, 2009 પછીનું સૌથી નબળું ચોમાસું શક્ય

અલ નીનોની અસર: દેશમાં 15% ઓછો વરસાદ, 2009 પછીનું સૌથી નબળું ચોમાસું શક્ય

ભારતમાં અલ નીનો સક્રિય થતાં ચોમાસાની ચાલ નબળી પડી છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતી ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી દેશભરમાં સામાન્ય કરતાં 15% ઓછો વરસાદ નોંધાયો છે. જો આ સ્થિતિ યથાવત્ રહેશે, તો આ વર્ષ 2009 પછીનું સૌથી નબળું ચોમાસું સાબિત થઈ શકે છે. 2009માં સામાન્ય કરતાં 18% ઓછો વરસાદ થયો હતો.

ભારત ચોખા, ખાંડ અને કપાસનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, જ્યાં કરોડો ખેડૂતો પોતાની પાકની સિંચાઈ માટે મોસમી વરસાદ પર નિર્ભર છે. વર્ષ દરમિયાન થતા કુલ વરસાદનો મોટો હિસ્સો આ જ સિઝનમાં વરસે છે. ચોમાસામાં આ ઘટ વર્તમાન પાકને નુકસાન પહોંચાડે છે અને આગામી પાકની વાવણીને પણ પ્રભાવિત કરી શકે છે, જેનાથી કૃષિ ક્ષેત્રને ફટકો પડી શકે છે.

ઓછા વરસાદ અને પાક ઉત્પાદનમાં ઘટાડાને કારણે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ઓગસ્ટમાં ખાદ્ય મોંઘવારી 5.95%ના ઉચ્ચતમ સ્તરે પહોંચી છે. અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ચોમાસામાં થતી દર 1% ઘટ ખાદ્ય મોંઘવારીને આશરે 25 બેસિસ પોઈન્ટ સુધી વધારી શકે છે. સરકારે ખાંડની ડ્યુટી-ફ્રી આયાતની મંજૂરી આપી છે અને કેટલાક રાજ્યોમાં સબસિડીવાળા ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય હવામાન નિષ્ણાતોના મતે, સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયામાં બંગાળની ખાડીમાં ટ્રોપિકલ સાયક્લોન માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. તેનાથી પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે, જેથી સ્થાનિક સ્તરે પાણીની અછત થોડી દૂર થઈ શકે છે. જોકે, નિષ્ણાતો માને છે કે આ વાવાઝોડાથી દેશભરના કુલ વરસાદના આંકડામાં મોટો સુધારો થવાની શક્યતા ઓછી છે અને સમગ્ર સિઝનમાં વરસાદની ઘટ 13%થી 16%ની વચ્ચે રહી શકે છે.