મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોતના કેસમાં CBI તપાસના આદેશ આપ્યા છે. કોર્ટે આ કેસમાં FIR નોંધવાનો પણ નિર્દેશ આપ્યો છે.
દિશા સાલિયાનનું મોત 8 જૂન 2020ના રોજ મુંબઈના મલાડમાં એક ઈમારતના 14મા માળેથી પડી જતાં થયું હતું. તેમના મોતના છ દિવસ પછી એટલે કે 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત પણ પોતાના બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં મૃત મળી આવ્યા હતા.
દિશાના પિતા સતીશ સાલિયાને હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પુત્રીના મોતની નવેસરથી અને CBI તપાસની માગ કરી હતી. તેમનો આરોપ હતો કે દિશા સાથે ગેંગરેપ અને હત્યા કરવામાં આવી હતી અને કેસને દબાવવાનો પ્રયાસ કરાયો હતો.
બીજી તરફ, પોલીસ અત્યાર સુધી દિશાના મોતને આત્મહત્યા ગણાવતી રહી છે અને તપાસમાં કોઈ પ્રકારની ગડબડ કે જાતીય હુમલાના પુરાવા ન મળ્યા હોવાની વાત કરી છે.
કોર્ટે તપાસ પર સવાલ ઉઠાવ્યા હતા. દિશાના મૃત્યુ અંગે 2023માં મુંબઈ પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મુંબઈ પોલીસની તપાસની રીત પર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે 14મા માળેથી પડવા છતાં ઈજાઓને લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વિરોધાભાસ શા માટે છે. અદાલતે ઘટનાસ્થળના CCTV ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને પંચનામા સહિત તપાસ સાથે સંકળાયેલા અનેક પાસાઓ પર પણ સવાલો ઉઠાવ્યા. કોર્ટે એ પણ સવાલ કર્યો કે પરિવાર દ્વારા મૃત્યુના સંજોગો પર શંકા વ્યક્ત કરવામાં આવી હોવા છતાં FIR કેમ નોંધવામાં આવી ન હતી.
પોલીસે શરૂઆતમાં આ મામલે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધ્યો હતો. બાદમાં તપાસમાં તેને આત્મહત્યા ગણાવવામાં આવી. સુનાવણી દરમિયાન કોર્ટે પોસ્ટમોર્ટમ પ્રક્રિયા અંગે પણ સવાલ કર્યા હતા. કોર્ટ સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે દિશાનું પોસ્ટમોર્ટમ એક ડોક્ટરે કર્યું હતું, જ્યારે રાજ્યના દિશાનિર્દેશો અનુસાર આવા કિસ્સાઓમાં બે ડોકટરોની જરૂર હોય છે. રિપોર્ટમાં માથા, હાથ, પગ અને છાતી પર ઇજાઓનો ઉલ્લેખ હતો અને માથાની ઇજાને મૃત્યુનું કારણ ગણાવ્યું હતું.
બીજી તરફ, પોલીસે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાતીય હુમલા કે બળાત્કારના કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસે એવો પણ દાવો કર્યો હતો કે સાક્ષીઓના નિવેદનો અને તપાસના આધારે દિશાએ પોતે જ ઈમારત પરથી છલાંગ લગાવી હતી.
દિશા અને સુશાંતના મોત વચ્ચે માત્ર 6 દિવસનું અંતર હોવાના કારણે બંને કેસ ચર્ચામાં જોડાયેલા રહ્યા. જોકે, બંને ઘટનાઓ વચ્ચે કોઈ ગુનાહિત સબંધની પુષ્ટિ થઈ નહોતી. સુશાંતના મોતની તપાસ CBI, પ્રવર્તન નિદેશાલય (ED) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સુધી પહોંચી હતી.