કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ ઝી એન્ટરટેઈનમેન્ટના સ્થાપક સુભાષ ચંદ્રા અને અન્ય લોકો સામે LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LICHFL) સાથે લગભગ ₹1,322 કરોડની કથિત છેતરપિંડી બદલ ગુનો દાખલ કર્યો છે. CBI હેડ ઑફિસમાં 31 ઑગસ્ટના રોજ દાખલ કરાયેલી ફરિયાદ (FIR)માં સુભાષ ચંદ્રાને આરોપી નંબર 1 તરીકે નામિત કરવામાં આવ્યા છે.
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, સુભાષ ચંદ્રાએ 2018માં પોતાની નેટવર્થ વિશે ખોટા દસ્તાવેજો રજૂ કરીને વિવિધ કંપનીઓના નામે લોન મેળવી હતી. લોન મંજૂર કરવા માટે તેમણે પોતાની વ્યક્તિગત ગેરંટી આપી હતી. પાછળથી જ્યારે લોન ડિફોલ્ટ થઈ, ત્યારે તેમણે દાવો કર્યો કે તેમની પાસે ક્યારેય આટલી મોટી નેટવર્થ નહોતી.
CBIએ દાખલ કરેલી FIR અનુસાર, આ મામલો LICHFL દ્વારા બે અલગ અલગ કંપનીઓને આપવામાં આવેલી લોન સાથે સંબંધિત છે. પહેલી લોન ₹500 કરોડની વસંત સાગર પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને પેન ઇન્ડિયા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવી હતી. બીજી લોન ₹480 કરોડની ડિજિટલ સબસ્ક્રાઇબર મેનેજમેન્ટ ઍન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ અને સ્પિરિટ ઇન્ફ્રાપાવર એન્ડ મલ્ટીવેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડને રેન્ટલ સિક્યોરિટાઇઝેશન સ્કીમ હેઠળ આપવામાં આવી હતી.
લોન મંજૂર કરવા માટે સુભાષ ચંદ્રાએ 2018માં જે નેટવર્થ સર્ટિફિકેટ આપ્યા હતા, તેમાં તેમણે 31 માર્ચ 2017 સુધીમાં પોતાની નેટવર્થ ₹59,113 કરોડ હોવાનું જણાવ્યું હતું. જ્યારે ડિજિટલ લોન માટે 6 જુલાઈ 2018ના રોજ આપેલા સર્ટિફિકેટમાં તેમણે પોતાની નેટવર્થ ₹40,562 કરોડ હોવાનું દર્શાવ્યું હતું.
જોકે, આરોપી સામે ઇન્સોલ્વન્સી કાર્યવાહી દરમિયાન સુભાષ ચંદ્રાએ સ્પષ્ટપણે નકારી કાઢ્યું હતું કે તેમની પાસે ક્યારેય આટલી મોટી નેટવર્થ નહોતી. તેમણે સ્વીકાર્યું હતું કે વર્ષ 2017-18માં પણ તેમની પાસે ₹40,000 કરોડથી વધુની નેટવર્થ ક્યારેય નહોતી.
LICHFLએ CBI સમક્ષ કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે સુભાષ ચંદ્રા સહિતના આરોપીઓ દેશ છોડીને ભાગી જવાની ફિરાકમાં છે. તેઓએ જાહેરમાં ભારત છોડવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે, જેને ધ્યાનમાં રાખીને વહેલી તકે તપાસ શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે ગયા મહિને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ સુભાષ ચંદ્રાના રિપેમેન્ટ પ્લાનને મંજૂરી આપી હતી, જે હેઠળ તેમણે માત્ર ₹6.5 કરોડ ચૂકવવાના હતા, જ્યારે આ કેસમાં મૂળ દાવો આશરે ₹22,006.57 કરોડનો હતો. આ મામલે CBI તપાસ હાથ ધરશે.