એવોકાડોને આજકાલ ફિટનેસ પ્રેમીઓ તેમના આહારમાં સ્થાન આપી રહ્યા છે. તેની ક્રીમી રચના અને સ્વાદને કારણે તે નાસ્તામાં અને સલાડમાં પસંદ કરવામાં આવે છે. પરંતુ તેને 'ન્યુટ્રિશનનું પાવરહાઉસ' અથવા 'સુપરફૂડ' કેમ કહેવામાં આવે છે, તે ઘણા લોકો જાણતા નથી.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એવોકાડો માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તેમાં અનેક પોષક તત્વો છે જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને રોગોથી બચાવે છે. મોટાભાગના ફળોમાં કાર્બોહાઈડ્રેટ અથવા કુદરતી શર્કરા વધુ હોય છે, જ્યારે એવોકાડો તંદુરસ્ત ચરબીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેમાં લગભગ 20 પ્રકારના વિટામિન અને ખનિજો મળી આવે છે, જેમાં વિટામિન K, E, C, ફોલેટ અને ફાઈબરનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, તે પોટેશિયમનો પણ સારો સ્ત્રોત છે.
તબીબી નિષ્ણાતો કહે છે કે એવોકાડોમાં ઓલિક એસિડ નામનું મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે, જે શરીરમાં બળતરા ઘટાડે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. તેના નિયમિત સેવનથી હૃદયરોગ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે.
ઘણી વાર લોકો માને છે કે ચરબી હોવાને કારણે એવોકાડો વજન વધારી શકે છે, પરંતુ નિષ્ણાતો તેનાથી વિપરીત સલાહ આપે છે. તેમાં ભરપૂર ફાઈબર હોવાથી તે ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે, જેથી વધુ પડતું ખાવાનું ટાળી શકાય છે અને વજન નિયંત્રણમાં રહે છે.
આ ફળમાં લ્યુટિન અને ઝેક્સેન્થિન જેવા શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે, જે મોતિયા અને વધતી ઉંમર સાથે સંકળાયેલી આંખની બિમારીઓનું જોખમ ઘટાડે છે.
નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાગૃતિ માટે છે. તેને કોઈ પણ રીતે તબીબી સલાહ, રોગનિદાન અથવા સારવારનો વિકલ્પ ન ગણવો. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા અથવા લક્ષણ જણાય તો તુરંત ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે.