સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના વટવામાં વરસાદ દરમિયાન બે યુવકોના મૃતદેહ મળ્યા, કરંટ લાગવાની શંકા

અમદાવાદના વટવામાં વરસાદ દરમિયાન બે યુવકોના મૃતદેહ મળ્યા, કરંટ લાગવાની શંકા

અમદાવાદના વટવા વિસ્તારમાં ગામડી તરફ જતા રસ્તા પરથી વરસાદ દરમિયાન બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. બંને મિત્રો 17 સપ્ટેમ્બરે એર કન્ડીશનર (AC) રિપેરિંગના કામ માટે ઘરેથી નીકળ્યા હતા અને 18 સપ્ટેમ્બરની સવારે તેમના મૃતદેહ મળી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, શાહવાડી નારોલ ખાતે રહેતા 27 વર્ષીય રજનીકાંત ચૌહાણ અને જમાલપુરમાં રહેતા 37 વર્ષીય દીપક પરમાર બંને મિત્રો બાઈક પર AC રિપેરિંગ કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. શુક્રવારે સવારે વટવા પોલીસને જાણ થઈ કે વટવા વિસ્તારમાં ગામડી ગામ તરફ જવાના માર્ગ પર બે યુવકોના મૃતદેહ પડ્યા છે.

વટવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરતાં બંને યુવકોના શરીર પર ઈજાના કોઈ નિશાન મળ્યા નથી. ત્યાંથી જીવતા વાયર પણ મળી આવ્યા નથી. જોકે, શરીર પર ઈજાના નિશાન ન હોવાથી કરંટ લાગવાથી મોત થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) તપાસના આધારે મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ ઉપરાંત પોલીસ સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે પણ તપાસ કરી રહી છે.