અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં લગ્નની કંકોત્રી ન આપવા બાબતે બે ભાઈઓ પર હિંસક હુમલાની ઘટના બની છે. આ હુમલામાં ચાર શખ્સોએ કથિત રીતે ભાગ લીધો હતો.
ફરિયાદી વિરેન્દ્રસિંહ વાઘેલા અને તેમના નાના ભાઈ મીતરાજ સાથે હાથીજણ સર્કલ નજીક આવેલા શાલીન સ્ક્વેર કોમ્પ્લેક્સ પાસે આ ઘટના બની હતી. વિરેન્દ્રસિંહ અને તેમના જૂના મિત્ર રાજવિર રાઠોડ વચ્ચે કંકોત્રી ન આપવા બાબતે બોલાચાલી થઈ હતી.
બોલાચાલી વધતાં રાજવિરે વિરેન્દ્રસિંહને ગાળો આપીને માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન રાજવિરનું ઉપરાણું લઈને આવેલા નિકુંજ વાઘેલા, દિવ્યરાજ અને દેવો નામના શખ્સોએ પણ હુમલામાં ભાગ લીધો હતો.
આ સમગ્ર મામલે પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.