સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં જળબંબાકાર: કોંગ્રેસે વાસણા બેરેજના સંચાલન પર સવાલો ઉઠાવ્યા

અમદાવાદમાં જળબંબાકાર: કોંગ્રેસે વાસણા બેરેજના સંચાલન પર સવાલો ઉઠાવ્યા

અમદાવાદમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ અંગે ગુજરાત કોંગ્રેસે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે કે, ભારે વરસાદની આગાહી હોવા છતાં સાબરમતી નદીનું જળસ્તર ઘટાડવાને બદલે વાસણા બેરેજમાં પાણીનું લેવલ 136.50 ફૂટ સુધી પહોંચાડવામાં આવ્યું હતું.

કોંગ્રેસના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે ભારે વરસાદ દરમિયાન સાબરમતીનું લેવલ 129 ફૂટથી વધુ ન વધારવાની વાત કરવામાં આવે છે, ત્યારે આટલું ઊંચું લેવલ કેમ જાળવવામાં આવ્યું તે અંગે તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રાજ્યમાં એક તરફ પાણીની અછતની સ્થિતિ છે, ત્યારે નર્મદા કેનાલમાંથી સાબરમતી નદીમાં પાણી છોડીને નદીનું જળસ્તર વધારવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘સાહેબની વર્ષગાંઠ’ નિમિત્તે સાબરમતી નદી બે કાંઠે છલોછલ દેખાય તે માટે પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે ભારે વરસાદની આગાહી પહેલેથી જ કરવામાં આવી હતી ત્યારે બેરેજમાં આટલું પાણી શા માટે સંગ્રહ કરવામાં આવ્યું? જો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પાણી નદીમાં છોડવાનું જ હતું, તો તેને અગાઉથી તબક્કાવાર છોડીને બેરેજનું લેવલ ઘટાડવામાં કેમ ન આવ્યું?

આક્ષેપ મુજબ, ભારે વરસાદ દરમિયાન એક તરફથી વરસાદી પાણી અમદાવાદમાં આવતું રહ્યું અને બીજી તરફ વાસણા બેરેજમાંથી પાણી છોડવાની સ્થિતિ ઊભી થઈ. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની હોવાનો તેમણે દાવો કર્યો છે. તેમણે આ ઘટનાને ‘અધિકારીઓની બેદરકારીના કારણે સર્જાયેલી માનવસર્જિત આફત’ ગણાવી છે અને પાણીના સંચાલન અંગે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ નર્મદા ડેમમાંથી પાણી છોડવાના ભૂતકાળના બનાવોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, પાણી છોડતા પહેલાં નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓ પર તેની અસર અંગે પૂરતું આયોજન જરૂરી છે. વાસણા બેરેજમાંથી એકસાથે પાણી છોડવાના કારણે પાછળના ગામો અને વિસ્તારોમાં પણ નુકસાનનું જોખમ ઊભું થયું છે.

કોંગ્રેસે હવે સવાલ ઉઠાવ્યો છે કે, ભારે વરસાદની આગાહી હોવા છતાં વાસણા બેરેજનું લેવલ 136.50 ફૂટ સુધી કેમ જાળવવામાં આવ્યું, નર્મદા કેનાલમાંથી સાબરમતીમાં કેટલું પાણી છોડવામાં આવ્યું અને પાણી છોડવા અંગે નિર્ણય કયા સ્તરે લેવામાં આવ્યો? આ મુદ્દે રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત જળસંપત્તિ વિભાગ તરફથી સત્તાવાર સ્પષ્ટતા શું આવે છે તેના પર સૌની નજર છે.

નોંધનીય છે કે, તાજેતરમાં ભારે વરસાદ દરમિયાન પણ વાસણા બેરેજનું લેવલ ઘટાડવામાં વિલંબ અંગે સવાલો ઉઠ્યા હતા. એક અહેવાલ મુજબ, ભારે વરસાદની આગાહી હોવા છતાં શરૂઆતમાં બેરેજના મર્યાદિત દરવાજા ખોલવામાં આવ્યા હતા અને બાદમાં વધુ દરવાજા ખોલવામાં આવ્યા હતા.