સત્ય. સાહસ. સંકલ્પ.

એડિડાસની ગુરુગ્રામ ટેક હબમાં મોટી છટણી, 350થી વધુ કર્મચારીઓ પર અસર

એડિડાસની ગુરુગ્રામ ટેક હબમાં મોટી છટણી, 350થી વધુ કર્મચારીઓ પર અસર

સ્પોર્ટ્સવેર કંપની એડિડાસે ભારતમાં તેના ગુરુગ્રામ સ્થિત ટેકનોલોજી હબમાં મોટા પાયે છટણી કરી છે. કંપનીએ 15 સપ્ટેમ્બરે યોજાયેલી ટાઉન હોલ મીટિંગમાં કર્મચારીઓને આ અંગે માહિતી આપી હતી.

અહેવાલો અનુસાર, આ હબમાં લગભગ 700 કર્મચારીઓ કાર્યરત છે, જેમાંથી 45% થી 50% એટલે કે આશરે 350 કે તેથી વધુ કર્મચારીઓની નોકરીઓ પર અસર થશે. અસરગ્રસ્ત કર્મચારીઓમાં સોફ્ટવેર એન્જિનિયર, ડેટા સાયન્ટિસ્ટ અને ડેટા એન્જિનિયરનો સમાવેશ થાય છે. જોકે, એડિડાસે છટણીની પુષ્ટિ કરી છે, પરંતુ નોકરી ગુમાવનારા કર્મચારીઓની ચોક્કસ સંખ્યા જાહેર કરી નથી.

કંપનીના જણાવ્યા અનુસાર, બદલાતી વ્યાવસાયિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કાર્યપદ્ધતિમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આનો ઉદ્દેશ્ય સંગઠનને સરળ બનાવવો, આવશ્યક ક્ષમતાઓને મજબૂત કરવો અને કંપનીને લાંબા ગાળાના વિકાસ માટે તૈયાર કરવો છે.

છટણી બે તબક્કામાં થશે. પ્રથમ જૂથના કર્મચારીઓને 15 સપ્ટેમ્બરે એક્ઝિટ લેટર આપવામાં આવ્યા છે. બીજા જૂથના કર્મચારીઓ 15 ડિસેમ્બર સુધી કંપનીમાં કામ કરશે અને આ સમયગાળા દરમિયાન તેમણે પોતાનું કામ અન્ય ટેકનોલોજી હબમાં કાર્યરત કર્મચારીઓને સોંપવું પડશે. આ ઉપરાંત, બીજા જૂથના કર્મચારીઓને એડિડાસમાં અન્ય નોકરીઓ શોધવા માટે પણ સમય આપવામાં આવ્યો છે.

કંપનીએ આ નિર્ણયને મુશ્કેલ ગણાવ્યો છે અને કહ્યું છે કે તે બદલાતી વ્યાવસાયિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કાર્ય માળખામાં પરિવર્તનનો એક ભાગ છે.