શેર-એ-પંજાબ T20 લીગ 2026ની 10મી મેચમાં અમૃતસર સુરમાનો સામનો ભટિંડા રોયલ્સ સાથે થયો હતો. આ મેચમાં અમૃતસરને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. ખાસ વાત એ છે કે, અમૃતસરના કેપ્ટન અભિષેક શર્મા પોતાના જન્મદિવસને કારણે આ મેચમાં રમ્યા ન હતા.
મોહાલીના PCA સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ વરસાદને કારણે 11-11 ઓવરની કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા અમૃતસરે માત્ર 105 રન બનાવ્યા હતા. અભિષેકની ગેરહાજરીમાં ટીમની શરૂઆત સારી ન રહી. ઓપનર સહજ ધવને 16 બોલમાં 17 રન બનાવ્યા, જ્યારે જશ્નપ્રીત સિંહ 10 બોલમાં 10 રન બનાવી શક્યો. નમન ધીર પણ 1 રન બનાવીને આઉટ થયો. અભય ચૌધરીએ 36 અને રાહુલ કુમારે 25 રન બનાવ્યા, જેના આધારે ટીમ 105 રન સુધી પહોંચી.
જવાબમાં ભટિંડા રોયલ્સે આ લક્ષ્યાંક માત્ર 47 બોલમાં હાંસલ કરી લીધું. કેપ્ટન ઉદય સહારાએ 20 બોલમાં 60 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. હરનૂર સિંહે 15 બોલમાં અણનમ 29 રન બનાવ્યા. ભટિંડાએ આમ 8 વિકેટે મેચ જીતી લીધી.
અભિષેક શર્મા હાલમાં સારા ફોર્મમાં છે. તેણે આ લીગમાં ત્રણ મેચમાં 250થી વધુના સ્ટ્રાઇક રેટ સાથે 180 રન બનાવ્યા છે, જેમાં 16 છગ્ગાનો સમાવેશ થાય છે. તેમની ગેરહાજરી ટીમ માટે ભારે પડી હોવાનું માનવામાં આવે છે. જો અભિષેક રમ્યા હોત તો પરિણામ અલગ હોઈ શક્યું હોત, એવું વિશ્લેષકો માને છે.